Wednesday, April 12, 2006

ઇસ્‍લામી શિક્ષણમાં ભારત .


પયગંબર સાહેબ (સ. અ. વ.) અને ભારત ; આ બે બાબતોને આવરી લેતા વિષય પર કેટલાયે પુસ્‍તકો લખાય ચૂક્યા છે. ઈતિહાસ સંબંધી ઘણા પુસ્‍તકોમાં ઇસ્‍લામના ઉદય સમયે ભારત અને પડોશી પ્રદેશોની પરિસ્થિતિ અને ઇસ્‍લામ બાબતેના પ્રત્‍યાઘાતો વિશે પણ પ્રકાશ ફેંકવામાં આવ્‍યો છે.
અત્રે આ વાતનો ઉલ્‍લેખ પણ જરૂરી છે કે ઇસ્‍લામના મુખ્‍ય બે શિક્ષણ સ્‍ત્રોતો કુર્આન અને હદીસમાં સ્‍પષ્‍ટ પણે કહેવામાં આવ્‍યું છે કે વારે ઘડીએ સન્‍માર્ગથી વિચલિત થતા માનવીને સન્‍માર્ગે લાવવા માટે અલ્‍લાહ તરફથી અનેક ‍સંદેશવાહકો એટલે કે પયગંબરો દરેક કાળે દરેક પ્રદેશમાં મોકલવામાં આવ્‍યા હતા. હઝરત આદમ (અલૈ.)થી લઇ અંતિમ નબી હઝરત મુહમ્‍મદ (સ.અ.વ.) સુધી નબીઓનો લાંબો દોર ચાલ્‍યો છે.
સૌપ્રથમ માનવી અને સૌ પ્રથમ નબીનું સન્‍માન મેળવનાર હઝરત આદમ જન્‍નત એટલે કે સ્‍વર્ગમાંથી ધરતી પર ઉતારવામાં આવ્‍યા , પણ કયાં ?
પયગંબર મુહમ્‍મદ સાહેબ (સ.અ.વ.)નું કથન છે કે તેઓને ભારતની ધરા પર ઉતરાણ કરાવવામાં આવ્‍યું હતું. કેટલાક આરબ લેખકો આ કારણે જ ભારતને પૈતૃક ઘર ગણાવે છે. ઇસ્‍લામી ગ્રંથોમાં ઘણા સંશોધકોએ આ વાત પણ લખી છે કે આદમ (અલૈ.) કેટલાક ફૂલ અને છોડ જન્‍નત (સ્‍વર્ગ)માંથી સાથે લાવ્‍યા હતા. જેના કારણે ભારતની જમીન ઘણી જ ફળદ્વુપ બની. ઇસ્‍લામી માન્‍યતા અનુસાર સ્‍વર્ગની ચાર નદીઓ ધરતી પર વહેતી મૂકવામાં આવી છે , જેમાંથી એક ભારતમાં વહે છે.
મુસ્લિમ ઇતિહાસકારો અન્‍ય એક બાબતને પણ વિશેષ રૂપે લખે છે કે અરબસ્‍તાનમાં હઝરત મુહમ્‍મદ (સ.અ.વ.)ના આગમનના સમાચાર સાંભળી પૂર્વભારતના એક અગ્રણી રાજાએ તેના તરફથી એક શુભેચ્‍છા પ્રતિનિધિ મંડળ પણ મોકલ્‍યું હતું. અને હઝરત મુહમ્‍મદ સાહેબ દ્વારા આપવામાં આવતા માર્ગદર્શન વિશે માહિતી મંગાવી હતી. આ પ્રતિનિધિ મંડળ તેની સાથે કેટલીક સોગાદો પણ લઇ ગયું હતું , અરબસ્‍તાન પહોંચતા આ મંડળને હઝર મુહમ્‍મદ (સ.અ.વ.) સાહેબે તેમની મસ્જિદમાં માન સન્‍માન સાથે આવકાર આપ્‍યો હતો. અને આવેલી ભેટો તેમના સાથીઓમાં વિતરણ કરી હતી. આ પ્રતિનિધિ મંડળને આવકાર આપતાં પયગંબર સાહેબે કહ્યું કે ‘ મને ભારતની દિશામાંથી જન્‍નતની ખુશ્‍બૂ આવે છે.
વેપારી દ્રષ્ટિએ જોઇએ તો ઇતિહાસકારોએ ભારત અને અરબસ્‍તાનના સંબંધો બાબતે અનેક વાતો લખી છે , એક સામાન્‍ય જ્ઞાન ધરાવનાર માણસ એનાથી વાકેફ હશે જ.
આ બધી પોરાણિક વાતોથી એક વાત સ્‍પષ્‍ટ થાય છે કે ભારતવાસીઓ અને ઇસ્‍લામના સંબંધો ઘણા જૂના અને ગાઢ છે.
ધાર્મિક દ્રષ્ટિએ મહત્‍વની ગણી શકાય એવી આ વાતો અત્રે એટલે લખીએ છીએ કે આજકાલના કલુ‍ષિત વાતાવરણમાં એનાથી લોકો બોધગ્રહણ કરે અને પરસ્‍પર સ્‍નેહ અને વિશ્વાસથી રહેવાનો પઠ ગ્રહણ કરે.
ગુજરાત ટુ ડે, તા. ૧૯ માર્ચ ર૦૦૬ પરથી , સુધારા વધારા સાથે.
ઇસ્‍લામ અને અન્‍ય ધર્મ પુરૂષો

ઇસ્‍લામ એ ફક્ત મુસલમાનોનો અથવા લોકો કહે છે તે પ્રમાણે ૧૪ સદીઓ પૂર્વે હઝરત મુહમ્‍મદ સાહેબે સ્‍થાપેલ ધર્મ નથી. બલકે તે એક ઇશ્વરીય વ્‍યવસ્‍થા છે, જે માનવીના ઉત્‍પત્તિ કાળથી અલ્‍લાહ તઆલાએ માનવીને અર્પણ કરી છે. અલ્‍લાહ તઆલાએ સૌપ્રથમ હઝરત આદમને પેદા કર્યા અને તેમનાથી જ માનવવંશ ચાલ્‍યો , આ માનવવંશમાં અલ્‍લાહ તઆલા તરફથી જે કોઇને વિશિષ્‍ટ દરજો આપી અલ્‍લાહ તઆલાએ એમને લોકોના માર્ગદશર્ક કે નબી તરીકે પસંદ કર્યા , તેમને નબી અને રસૂલ કહેવામાં આવે છે. દરેક કાળમાં અને દરેક પ્રદેશમાં અલ્‍લાહ તરફથી આવા નબીઓ , સંતપુરૂષો , ઇશ્વરીય દૂતો અને સંદેશવાહકો નક્કી કરવામાં આવ્‍યા હતા. અને આ બધા જ અલ્‍લાહના નિયુક્ત કરેલા અને અલ્‍લાહના નિકટ્મ બંદા હતા, તેમને સાચા સમજવું અને તેમનો આદર કરવો દરેક મુસલમાન માટે જરૂરી છે.
કુર્આનમાં અલ્‍લાહ તઆલાએ ઘણા નબીઓ અને ઇશદૃતોનો નામ જોગ ઉલ્‍લેખ કયો છે. અને અન્‍ય ઘણાઓનો નામ જોગ ઉલ્‍લેખ નથી. કુર્આનમાં જેમનો નામ જોગ ઉલ્‍લેખ છે, તેમના વિશે સ્‍પષ્‍ટ રૂપે અલ્‍લાહના નિકટમ બંદા હોવા અને તેઓના સંતપુરૂષ – નબી હોવાનું ઈમાન ધરાવવું , યકીન રાખવું જરૂરી છે, અને ઇસ્‍લામનો જ એક ફરજ છે. આવા નબીઓમાંથી કોઇ એકને પણ અલ્‍લાહના નબી ન માનનાર મુસલમાન કહી શકાય નહી. જેમ કે કુર્આનમાં મૂસા. ઈસા અને અન્‍ય નબીઓનો ઉલ્‍લેખ છે, માટે એમને અલ્‍લાહના નબી માનવા દરેક મુસલમાન માટે જરૂરી છે. આમ મુસલમાનો ઇસાઇઓ અને યહૂદીઓના નબીઓને આદર પૂર્વક સ્‍વીકારે છે અને માને છે.
રામ - કૃષ્‍ણ , બુધ્‍ધ કે અન્‍ય ધર્મ પુરૂષોનો ઉલ્‍લેખ કુઆર્નમાં નથી, પરંતુ કુર્આનમાં આ ઉલ્‍લેખ જરૂર છે કે પૂર્વેના દરેક કાળમાં દરેક પ્રદેશમાં અલ્‍લાહે નબીઓ અને દૂતો મોકલ્‍યા હતા. માટે શક્ય છે કે ભારતમાં મનાતી આ હસ્‍તીઓ પણ અલ્‍લાહના નેક બંદાઓ હોય .
અલબત્ત અત્રે યાદ રાખવું જોઇએ કે ઇસ્‍લામમાં અલ્‍લાહ સિવાય અન્‍ય કોઇની પણ પૂજા - પ્રાથનાની મનાઇ છે . માટે અલ્‍લાહને પ્રિય કોઇ વ્‍યક્તિ કે અલ્‍લાહનો કોઇ દૂત કે પયગંબર લોકોને એવી તાલીમ કદી ન આપે કે અલ્‍લાહને છોડી એને પૂજવામાં આવે અથવા તો અન્‍ય કોઇ દેવી દેવતાની ઉપાસના કે ભક્તિ કરવામાં આવે.
ઇસ્‍લામમાં એને શિર્ક એટલે કે અલ્‍લાહ સાથે અન્‍યોને ભાગીદાર કરવાનું જ મોટું ગુનાહિત કૃત્‍ય ગણાવમાં આવ્‍યું છે. માટે આવી હસ્‍તીઓ જો વાસ્‍તવમાં અલ્‍લાહના દૂતો હોય તો પણ મુસલમાનને મન તે પૂજ્નીય તો નથી જ. હઝરત મુહંમદ પયગંબર સાહેબ પણ મુસલમાનને મન પૂજ્નીય નથી, હા આવા દરેક મહાનુભાવો આદર પાત્ર જરૂર છે.

1 comment:

  1. ફરીદ ભાઈ,


    Sorry, તમારી કૉમેન્ટ નો જવાબ મોડો આપું છું; સાવ ભૂલાઇ ગ્યુ!

    ના, તરકશ ઉપર મારા બ્લૉગ ની માહિતી મૂકવા માટે મારે કંઈ કરવુ નથી પડતું. પંકજ ભાઈ એ આ માટે ની વ્યવસ્થા કરેલી છે. તમારા બ્લૉગ ની પણ જાણકારી એમને આપી દો (જો તેમને ખબર નો' હોય તો) અને હું આશા રાખુ કે એ વ્યવસ્થા કરી આપશે.

    ReplyDelete