Thursday, November 28, 2013

બાળકોના નામ કેવા રાખશો ?

બાળકોના નામ કેવા રાખશો ?
ધાર્મિક કાર્યો ઉપરાંત જીવનના દરેક પાસા અને તબક્કા બાબત માર્ગદર્શન આપવું, એ વિવિધ ધર્મોમાં ફકત ઇસ્લામની જ ખાસિયત છે. આ જ આધારે નવા જન્મતા બાળકના નામ રાખવા વિશે પણ ઇસ્લામમાં સ્પષ્ટ માર્ગદર્શન અને ધારા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. હદીસ શરીફમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે કે, તમને કયામતના દિવસે તમારા અને તમારા વાલિદના નામ સાથે પુકારવામાં આવશે, માટે સારું નામ પાડો. (મિશ્કાત શરીફ)
બીજી એક હદીસમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અયહિ વ સલ્લમ ફરમાવે છે કે સારું નામ રાખવું, એ વાલિદ ઉપર બાળકનો હક છે. (બયહકી)
એક હદીસમાં સારા નામને વાલિદ તરફથી બાળકને આપવામાં આવતો પ્રથમ તોહફો ગણવામાં આવ્યો છે. (કન્ઝુલ ઉમ્માલ, અબૂશ્શેખ)
સારું નામ રાખવાની પ્રેરણા આપવાની સાથે એ માટેનું વધું માર્ગદર્શન બલકે બુનિયાદી સિદ્ઘાંત પણ હદીસ શરીફમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે નક્કી ફરમાવી દીધો છે.
અબૂદાવૂદ શરીફમાં હદીસ છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે, અંબિયાના નામો મુજબ નામો રાખો. અલ્લાહ તઆલાને 'અબ્દુલ્લાહ, અબ્દુર્રહમાન' નામ સૌથી વધારે પસંદ છે. 'હારિસ, હુમામ' નામો સૌથી સાચા છે. અને 'હર્બ, મુર્રહ' નામ સૌથી ખરાબ છે. (હર્બ એટલે લડાઈ અને મુર્રહ એટલે કડવું)
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ કોઈને નામ પૂછતા અને સારું નામ હોતું તો એનાથી ઘણા જ ખુશ થતા હતા. અને ખરાબ અર્થ વાળું નામ હોય તો નારાજ થતા હતા, ચહેરા ઉપર નારાજગી દેખાય જતી.
આ બધાનો ખુલાસો એ છે કે બાળકની તરબિયતની જેમ જ એના માટે સારું નામ પસંદ કરવું, સારું નામ પાડવું પણ પિતાની જવાબદારી છે. અને પિતા ઉપર એ બાળકનો હક છે. અને આ માટે અંબિયાના અને સારો અર્થ - મતલબ ધરાવતા નામો શ્રેષ્ઠ ગણવામાં આવ્યાં છે. અને ખરાબ અર્થ વાળા નામો નાપસંદ કરવામાં આવ્યા છે.
નામ રાખવા બાબતે મુસ્લિમ સમાજની સ્થિતિ આજકાલ ઘણી જ ખરાબ થઈ ગઈ હોય એમ લાગે છે. લોકો નવા નામની શોધમાં રહે છે. સગાંઓમાં, આસપાસ ગામ - વિસ્તારમાં કોઈનું ન હોય એવું નામ શોધે છે. ઘણી વાર અર્થ વગરનું અથવા યોગ્ય અર્થ ન હોય એવું નામ એટલા માટે પસંદ કરી લેવામાં આવે છે કે એ નવું હોય છે. ઘણી વાર લોકો એવા નામોનો અર્થ પૂછે છે કે એવો કોઈ શબ્દ અરબી - ફારસીમાં હોતો જ નથી.
એવું પણ નથી નવું નામ રાખવું કોઈ ગુનાહનું કામ છે, અથવા શરીઅતની નજરે અયોગ્ય બાબત હોય. પણ નવા નામ ખાતર નામ રાખવાના ઇસ્લામી આદર્શો છોડી દેવા ખોટું અને ઇસ્લામી આદાબના વિરુદ્ઘ છે. અંબિયા અને સહાબાના સેંકડો નામો એવા છે, જે નવા છે, સારો અર્થ અને મતલબ ધરાવે છે, અને આજ કાલ લોકોમાં એ નામો પ્રચલિત પણ નથી.
માટે જરૂરી છે કે નવું નામ શોધવાની સાથે એ નામ અંબિયા, સહાબા, દીનદાર લોકોમાં રાખવામાં આવતું હોય, એનો પણ ખ્યાલ રાખવામાં આવે.
ઉલમાએ કિરામ, મસ્જિદના ઇમામો, મકતબ અને મદરસાના ઉસ્તાદોથી લોકો એમની અવલાદ માટે નામો પૂછે છે, માટે આવા લોકોની પણ મોટી જવાબદારી છે કે તેઓ લોકોમાં સારા નામો પ્રચલિત કરવાનો પ્રયત્ન કરે. લોકોની ઇચ્છા મુજબ નવા નામો અંબિયા અને સહાબાના નામોમાંથી શોધીને રાખે, જેથી જરૂરત પડે લોકોને એવા નામો બતાવી શકાય.
આજકાલ નામોની ઘણી કિતાબો - પુસ્તકો પણ મળી આવે છે, આવી કિતાબો મોતબર આલિમ દ્વારા લખવામાં આવી હોય એની ખાતરી કરીને એમાંથી નામ પસંદ કરી શકાય છે. સામાન્ય પણે મુસલમાનોના નામ અરબી અથવા ફારસી આધારિત હોય છે, માટે જે નામ રાખવામાં આવે એનો અર્થ જાણવાની સાથે અરબી - ફારસી અથવા ઉર્દૂમાં એ કેવી રીતે લખાય છે, એ પણ જાણી લેવું આવશ્યક છે. અરબી રીતે એનો ખરો ઉચ્ચાર ન જાણવાના કારણે ઘણી વાર નામ એવું બદલાય જાય છે કે ખ્યાલ પણ નથી આવતો કે અસલમાં આ શબ્દ શું છે ?
---------------