Saturday, April 29, 2006

અલગાવની લાગણી...

‘‘......પ્રત્‍યેક નાગરિક સમાન અને ન્‍યાયી વર્તાવના અધિકારી છે. નાગરિકોમાં રાષ્‍ટ્રીય અસ્મિતાની ભાવના ઉત્‍પન્ન થાય, શિક્ષણની સમાન પદ્ધતિ વિકસે, ન્‍યાયી અને શકિત શાળી રાજય તેમ જ જીવંત, ધબકતા નાગરિક સમાજનું નિર્માણ થાય અને સંસ્‍કુતિક, પ્રાદેશિક સ્‍વાયત્તતા સ્‍વીકારાય એના પર રાષ્‍ટ્રના અસ્તિત્‍વનો આધાર છે. એકતા વિનાની વિવિધતા વિભાજનકારી બને, અને વિવિધતા વિનાની એકતા સપાટ, દમનકારી હોય. બન્નેની સહોપસ્થિતિ શકય બનાવવાની છે. ભારતમાં આપણે લઘુમતીઓમાં એકતાની ભાવના જગાવવા આઝાદીની લડતના સમયથી સારો એવો પ્રયાસ કર્યો છે, છતાં હિન્‍દુ મુસ્લિમ સંબંધમાં સમસ્‍યા જ રહી છે. હિન્‍દુત્‍વવાદીઓએ મુસલમાનોને સમાન નાગરિક તરીકે હજી સ્‍વીકાર્યા નથી, આ ઠીક ન ગણાય. મોટા ભાગના મુસલમાનો સારા ભાયતીયો-દેશવાસી -દેશપ્રેમીઓ છે. પાકિસ્‍તાન સાથેના યુદ્ધમાં મુસલમાનોએ અનેક કુરબાની આપી છે. આપણાં સાહિત્‍ય, સંગીત, કળા, ફિલ્‍મ, રમત-ગમત ઇત્‍યાદી તમામ ક્ષેત્રે એમનું પ્રદાન ગણનાપાત્ર, કયારેક કયાંક ચઢિયાતું છે. દેશમાં કાયદાનું રાજ એમણે સ્‍વીકાર્યું છે, એ રીતે વર્ત્યા છે. રાજકીય હિંસા એમણે ભાગ્‍યે જ આચરી છે. ભારતીય હોવાનો એમને ગર્વ છે. દેશ પ્રત્‍યેની એમની વફાદારી વિશે અવારનવાર શંકા ઊભી કરીને એમને અપમાનિત કર્યા કરીશું તો સ્‍વાભાવિક તેઓ આપણાથી અલગ થતા રહેશે. દેશના બાર કરોડ મુસલમાનો આ રીતે અલગાવની લાગણીથી પીડાયા કરશે તો દેશ ખતમ થઇ જશે.‘‘
(પ્રા. ભીખુ પારેખઃ એક મુલાકાત)
મુલાકાત હિંમત ઝવેરી. નવનીત સમપર્ણ, નવે. ર૦૦ર પેજ ૬ર-૬૩

Wednesday, April 26, 2006

સમાચાર સાર અને ઉજાસ

બ્‍લોગ વિશ્વમાં હવે તો લાગે છે રોજ એક નવ બ્‍લોગ ઉમરાશે, દોસ્‍ત સલીમે એક બ્‍લોગ ઉજાસ શરૂ કર્યો છે, બીજો બ્‍લોગ અમારી સુવાસ ટીમે સમાચાર સાર નામે શરૂ કર્યો છે, અમારો આશય છે કે શિક્ષણ ક્ષેત્રે પછાત લધુમતિ કોમ એટલે કે મુસલમાનોને શિક્ષણ પ્રતિ આકર્ષવામાં આવે, આધુનિક શિક્ષણ પ્રતિ તેમનું ઓણમાયું વર્તન બદલાય એવા પ્રયત્‍નો કરવામાં આવે, આ જ આધારે અમુક વિશેષ પ્રકારના સમાચાર અને બોધદાયક વાતો સમાચારસારમાં પ્રગટ કરવાનો વિચાર છે. આશા છે કે દરેક તરફથી સારો પ્રતિસાદ મળશે.

જો મુસલમાનો જંગલી અને અન્‍યાયી હોત તો ?


જો મુસલમાનો જંગલી અને અન્‍યાયી હોત તો તેઓ પરાજિત પ્રજાઓનું સંપૂર્ણ નિકંદન કાઢી નાખત.
હુણો અને તાર્તરોએ શું કર્યું હતું તે ઇતિહાસના પૃષ્‍ઠોમાં વર્ણવાયેલ છે.
ઇસ્‍લામ સ્‍વીકારી અભણ આરબો એક મહાન પ્રજા બની ગયા. વિધા , હુનર સંસ્‍કાર અને સંસ્‍કૃતિના પ્રતિક બની ગયા. મુસલમાનો જયાં જયાં પણ ગયા, ત્‍યાંની પ્રજાના દિલ જીતી લીધાં . પરાજિત પ્રજાને પણ સંસ્‍કૃત બનાવી અને સમાન દરજો આપ્‍યો . અને તેમને જીવનનો સત્‍ય માર્ગ બતાવ્‍યો . હિંદુસ્‍તાનમાં જોઇએ તો મુસલમાન રાજઅમલમાં અહિયાં જાહોજલાલી હતી. તાજમહાલ , કુતુબમીનાર , લાલ કિલ્‍લો અને સ્‍થાપત્‍ય કળાના બીજા અનેક નમૂનાઓ, ઉપરાંત ભાષા, લોક જીવન, રાજવહીવટ, અને અન્‍ય અનેક ક્ષેત્રોમાં તેમનું યોગદાન આજે આપણે જોઇ શકીએ છીએ.
જો મુસલમાનો જંગલી હોત તો ભારતને ખેદાન મેદાન કરી મૂકયું હોત.
મુસલમાનો જંગલી હોત તો સ્‍પેનને તેમના સાતસો વરસના સત્તાકાળ દરમિયાન બરબાદ કરી નાખત . મુસ્‍લિમ સ્‍પેનમાં વિશ્વખ્યિત વિધાધામો સેવા બજાવતા હતા . કોરડોવાની વિખ્‍યાત યુનિવ‍ર્સિટીમાં યુરોપના ખિસ્‍તી રાજકુંવરો , ઉમરાવપુતો અને બિશપો જ્ઞાન લેવા આવતા હતા. આ ટાણે ખિસ્‍તી યુરોપ અંધકારમાં અટવાતું હતું .
મુસલમાનોએ પૂર્વ આફિકામાં સ્‍વાહીલી સંસ્‍કૃતિ અને પશ્ચિમ આફિકામાં મંડીગો ફુલાની અને હવસા ( હબશી મુસલમાનો ) ની સંસ્‍કૃતિની સ્‍થાપના કરી . તેનો વિકાસ કર્યો.
ઇસ્‍લામે વિશ્વ સંસ્‍કૃતિમાં કયો કયો ફાળો આપ્‍યો છે તે વિશેની જાણકારી યુનેસ્‍કો દ્વારા પ્રકાશિત ૮૦ પૃષ્‍ઠોના ‘ The Courier ‘ Aug Sept 1981 ના અંકમાં આપવામાં આવી છે.
જંગલી પ્રજા સંસ્‍કાર અને સંસ્‍કૃતિનો વિકાસ સાધી ન શકે. સંસ્‍કૃતિના વિકાસ માટે શાંતિ સલામતી અને ન્‍યાય આવશ્‍યક છે. જુલ્‍મ પર આધારિત તંદુરસ્‍ત રાજવ્‍યવસ્‍થા અને કુટુંબ રચના ન થઇ શકે.
જો મુસલમાનો જુલ્‍મી અને જંગલી હોત તો સાતસો વર્ષ સુધી સ્‍પેન અને ભારત પર રાજ કરી શકત નહી. રાજ્ય વ્‍યવસ્‍થા ન્‍યાય , સમાનતા સહિષ્‍ણુતા અને માનવાતા પર નિર્ભર છે.
પંડિત જવાહર લાલ નહેરૂ લખે છેઃ
આરબો જાગૃત થયા ત્‍યારે તેઓ પોતાના ધર્મ પ્રત્‍યે ખુબ ‍ઉત્‍સાહી અને સહિષ્‍ણુ હતા. તેના ઘણા દષ્‍ટાંતો છે. ખલીફા ઉમર સહિષ્‍ણુતા માટે ખાસ આગ્રહી હતા. મુસ્લિમ સ્‍પેનમાં ખ્રિસ્‍તીઓની મોટી વસતી હતી. તેઓને દરેક પ્રકારની સ્‍વતંત્રતા હતી. સિંધમાં મુસ્લિમો બીજી પ્રજા સાથે મૈત્રિભર્યો સંબંધ રાખતા . આ સમયના ઇતિહાસમાં યુરોપના ખ્રિસ્‍તીઓની અસહિષ્‍ણુતા અને મુસ્લિમ આરબોની સહિષ્‍ણુતા વચ્‍ચેનો વિરોધાભાસ એક નોંધનીય બાબત છે. ( Glimpses of History )
પ્રોફેસર એ. જે. એબેરી લખે છેઃ
સદીઓથી યુરોપે ઇસ્‍લામને અન્‍યાય કર્યો છે. મુસ્‍લિમ સંસ્‍કૃતિઓની સિધ્ધિઓની અવગણના કરી છે.
સર ડેનીસન રોસ લખે છે કે
ઇસ્‍લામમાં જે કાંઇ સારું છે તે તદ્દન છુપાવવામાં આવ્‍યું અને જે કાંઇ ખ્રિસ્‍તીઓની નજરમાં સારૂં જ જણાયું તેની અતિશયોક્તિ કરવામાં આવી અથવા તેની વિકૃત રજૂઆત કરવામાં આવી .

Monday, April 24, 2006

મુહમ્‍મદ અને મક્કા

અજ્ઞાનતા, અત્‍યાચારમાં જીવતા અરબસ્‍તાનના નિરંકુશ કબીલાઓ માંહે એક કબીલા ‘કુરેશ‘માં પયગંબર મુહમ્‍મદ સાહેબનો જન્‍મ થાય છે.
મુસલમાનો સામાન્‍યતઃ પયગંબરના નામ સાથે ‘સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ‘ લગાવે છે. જેનો અર્થ છે, એમના ઉપર અલ્‍લાહની કૃપા અને સલામતી રહે. ઇસ્‍લામી પરિભાષામાં મુહમ્‍મદ પયગંબર સાહેબ માટે કરવામાં આવતી આવી પ્રાથનાને દુરૂદ કહેવામાં આવે છે.
મક્કા શહેર અને તેની આસપસના વિસ્‍તારોના ખંડેરો આજે પણ ભવ્‍યભૂતકાળની સાક્ષી પૂરે છે. કુર્આનમાં પણ એ બધાંની ભવ્‍યતાનો ઉલ્‍લેખ છે. પણ પાપનો ઘડો જ્યારે છલકાય ત્‍યારે, એટલે કે ઇશ્વર-અલ્‍લાહે આપેલી ઢીલ પૂરી થાય ત્યારે અંતે તબાહી – વિનાશનો કાળ આવે છે.
ઇસ્‍વી સન ૫૭૧માં મુહમ્‍મદ પયગંબર સાહેબ (સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ) નો જન્‍મ થયો. ચાળીસ વરસના થયા છતાં સમાજની રસમો, રીવાજો, (અત્‍યાચારો અને બદીઓ) સાથે મનમેળ ખાતો ન હતો. માટે બધાંથી અળગા જ રહેતા.
રપ વરસની ઉમરે જેની સાથે શાદી કરી એ ૪૦ વર્ષીય પત્નિ ખદીજા ઘણાં નેક, પવિત્ર અને સજ્જન ખાતૂન હતાં. પતિના સ્‍વભાવ, સમજ અને અંતરના દુઃખને સમજતા હતાં. સહભાગી પણ હતાં.
૪૦ વર્ષના થયા તો અલ્‍લાહ તરફથી ફરિશ્‍તા (ઇશદૂત) જીબ્રઇલ મારફત અલ્‍લાહનો સંદેશ આપવામાં આવ્‍યો કે
‘પઢો, ( પઠન કરો) તે અલ્‍લાહનું નામ લઇ જેણે સૃષ્ટિનું સર્જન કર્યું, .......
તમારો પાલનહાર અતિસન્‍માનનીય છે, જેણે કલમ વડે જ્ઞાનની ધારા વહાવી.

ઈતિહાસકારો લખે કે આ ટાણે આખા મક્કામાં બધા મળીને ૧ર માણસો લખવા વાંચવાનું જાણતા હતા. સ્‍વંય મુહમ્‍મદ પયગંબર સાહેબ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ પણ જાણતા હતા.
અલ્‍લાહ તરફથી આવેલ આ પ્રથમ સંદેશ દ્વારા પરોક્ષ રીતે કહેવામાં આવ્‍યું કે જ્ઞાન મેળવો, ઇલ્‍મ પ્રાપ્‍ત કરો, કલમનો ઉપયોગ કરો. એના વડે અલ્‍લાહ માણસને જ્ઞાન આપી સન્‍માન અર્પે છે. એના થકી લોકો બુરાઇઓ છોડશે, અથવા તો સારું નરસું વિચારવાની લાયકાત મેળવશે.
આમ અલ્‍લાહના આદેશથી મુહમ્‍મદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમની ચળવળ આરંભાય છે. પરંતુ અવરોધોનો પર નથી, મુહમ્‍મદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમનો એટલો વિરોધ કરવામાં આવે છે કે તેમણે મક્કા છોડવું પડયું . પહેલાં તો તેઓ તાઇફ નામી શહેર ગયા. પરંતુ ત્‍યાંના લોકોએ સહકાર ન આપ્‍યો, અપમાન કર્યું. એટલે મક્કા પરત આવી ગયા.
થોડા વરસો પછી મદીના શહેરમાં આશાનું કિરણ ઉગે છે, મદીનાવાસીઓ મુહમ્‍મદની સીધી સાદી સદકર્મોની શીખ આપતી વાતોને સમજે અને અપનાવે છે. અને અંતે મુહમ્‍મદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ મક્કા છોડી મદીના ચાલ્‍યા જાય છે.
મદીનામાં યોગ્‍ય સહકાર મળવાથી અને સમજદાર સાથીઓના સથવારે ( જેમાંથી ઘણા બધા મક્કાથી સાથે આવેલા નિષ્‍ઠાવાન અનુયાયીઓ પણ હતા) પયગંબર એક સુંદર, સંસ્‍કારિત, સમાનતા અને ન્‍યાય આધારિત સમાજની રચના કરવામાં સફળ થાય છે.
વિરોધીઓ ઘણા ખરા તો સદકાર્યો અને સંસ્‍કારો થકી મુસલમાન બની જાય છે, અને જેમણે કષ્‍ટો અને સતામણી ચાલુ રાખી એમને કંઇ કડકાઇથી સમજાવવામાં આવ્‍યા.
મદીનામાં મુહમ્‍મદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ કુલ ૧૧ વર્ષ રહ્યા.
આ મુદ્દતમાં મક્કાવાળાઓ જોડે સામસામેના યુદ્ધો પણ થયા;
એક વાર સુલેહ-શાતિના કરાર થયા, પણ મક્કા વાસીઓએ કરાર પાલન કર્યું નહી. અને કરાર વિરુદ્ધ અનેક કાર્યો કર્યા.
આ બધાનો અંત મદીના આવ્‍યાને ૧૦ મે વરસે આવે છે. જ્યારે મુહમ્‍મદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ લાખો અનુયાયીઓને લઇ મક્કા જાય છે.



મુસલમાનોની આ મક્કા પર ફતેહ હતી. મક્કાવાસીઓ શત્રુ હતા. અત્‍યાર સુધીની સતામણીનો પાર ન હતો. અને ન્‍યાયી રીતે દરેકથી બદલો લઇ શકાય એમ હતું. પરંતુ પયગંબર સાહેબે દરેકને ક્ષમા આપી. મક્કાવાસીઓ મુસલમાનો પરના તેમના અત્‍યાચારો ના કારણે એટલા બધા અપરાધ ભાવમાં હતા કે ક્ષમા અને માફીનું જાહેરનામા પર તેમને શ્રદ્ધા ન બેસી, એટલે એલાન કરાવવામાં આવ્‍યુ કે જે કોઇ તેના ઘરનો દરવાજો બંધ કરી લેશે તેને માફી. જે કોઇ કાબાની પવિત્ર મસ્જિદમાં આવી જશે, તેને માફી. જે કોઇ મક્કાના સરદાર અબૂ સુફિયાનના ઘરમાં આવી જશે, તેને માફી.
આ ઘટના અને પયગંબર સાહેબ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ દ્વારા પુરૂં પાડવામાં આવેલ ક્ષમા અને માફીનું દષ્‍ટાંત ઘણું બધુ કહી જાય છે. માફીનું ઇસ્‍લામમાં ઘણું મહત્‍વ છે,
ન્‍યાય અને બદલા માટે અસલ તો ઇસ્‍લામનો કાયદો ઘણો સખત છે. તેમાં વિશેષ કરી અત્‍યાચાર, જુલમ અને ગુનાહને સામે રાખી પીડિતનો વિશેષ ખ્‍યાલ રાખવમાં આવ્‍યો છે , માટે જ અમુક નક્કી બાબતોમાં તો કુર્આનમાં પણ કહી દેવામાં આવ્‍યું કે આંખના બદલે આંખ, કાનના બદલે કાન, અને પ્રાણના બદલે પ્રાણ. પણ કુર્આનમાં સાથે જ કહેવામાં આવ્‍યું છે કે આમ બદલો લેવાના બદલે જો ‍પીડિત માફ કરી દે તો એ માફીનો એને અલ્‍લાહ તરફથી શ્રેષ્‍ઠ બદલો આપવામાં આવશે.
આજ કાલ પશ્ચિમના લેખકો અને કાયદાવિદો જેઓની નિતિ ગુનેગાર તરફી અને ઢીલ વાળી જ રહી છે, તેઓ આવા સખત કાયદાઓ પ્રત્‍યે અણગમો વ્‍યકત કરે છે. તેને માનવતા વિરુદ્ધ દર્શાવે છે, પરંતુ આવા કડક કાયદા સાથે ઇસ્‍લામે દર્શાવેલ માફી અને રહેમના પાસાને ફોક્સ નથી કરતા.
આપણે જોઇએ છીએ કે ઉપરની ઘટનામાં મુહમ્‍મદ પયગંબર સાહેબ પોતે તેમના શત્રુઓને ક્ષમા આપી આ જ માફી અને રહેમના સિદ્ધાંતને અનુસર્યા છે.
પયગંબર સાહેબનું કથન છે કે લોકોની તમારા પ્રત્‍યેની ભૂલોને માફ કરશો તો અલ્‍લાહ તમારી ભૂલોને માફ કરશે.
પયગંબર સાહેબનું જ કથન છે કે તમે ધરતીવાળાઓ પર રહેમ કરો, આસમાનવાળો તમારા પર રહેમ કરશે.

Saturday, April 22, 2006

મદરેસાઓ અંગેના તથાતથ્‍યની તપાસ થાય.

હિંદુત્‍વ એક અધ્‍યયન, લેખક કાન્તિ શાહ ,
અત્રે અમે આ પુસ્‍તકના અમુક અંશ આપીએ છીએ,
મદરેસાઓ અને તેમાં અપાતા ધાર્મિક શિક્ષણનો સવાલ વારે વારે ઊભો થઇ રહયો છે. જે દૂર થવો જોઇએ. એટલે આ બાબતમાં ઊંડા ઉતરી તથાતથ્‍ય જાણી લઇ કાયમનો આ સવાલનો નિકાલ લાવી દેવો જોઇએ. અને આ અંતરાય દૂર કરી નાંખવો જોઇએ. તે માટે તપાસ સમિતિ નીમી શકાય, કમિશન બેસાડી શકાય.
એટલું તો સ્‍પષ્‍ટ છે કે આપણા જેવા નાનાવિધ ધર્મો વાળા રાષ્‍ટ્રમાં ધર્માંધતાનું સાંપ્રદાયિક શિક્ષણ આપી શકાય નહીં એટલું જ નહી, ધાર્મિક શિક્ષણ આપતી પણ વખતે સર્વધર્મ સમભાવની ભાવના ખીલે એવું વલણ હોવું જોઇએ. વળી વિધાર્થીઓને માત્ર ધાર્મિક શિક્ષણ જ મળે અને અન્‍ય જ્ઞાન અને વિધાથી તેઓ વંચિત રહી જાય એ પણ ઇષ્‍ટ નહી ગણાય. તેથી જેમ મીશનરી શાળાઓ છે, અને હિંદુ ગુરુકુળો અને પાઠશાળાઓ છે, તેમ મદ્રેસાઓ પણ માત્ર ધાર્મિક શિક્ષણ આપતી સંસથાને બદલે બૃહદ વિધાધામો બની રહે એ ઇષ્‍ટ છે. તેમાં અન્‍યધર્મી માટે પ્રવેશ નિષિ‍દ્ધ ન હોય તો વળી વધુ સારુ.
આવા એક વ્‍યાપક દષ્ટિકોણ સાથે આપણે એ પણ જાણવું જોઇએ કે આજે જે મદ્રેસાઓ ચાલે છે તે કોઇ ભુગર્ભ પ્રવૃતિ સ્‍વરૂપે અથવા બિનકાયદેસર ચાલતા નથી. આ બધા મદ્રેસાઓ બંધારણ માન્‍ય છે. અને કાયદેસર રજિસ્‍ટર્ડ થયેલા છે. તથા અન્‍ય સંસ્‍થાઓની માફક સરકારના ધારાધોરણ અનુસાર ચાલી રહ્યા છે. એટલે સરકાર દ્વારા એમનું જરૂરી નિયમન નિયંત્રણ સહેલાઇથી કરી શકાય. એમની સામે કોઇ ફરીયાદ હોય તો જરૂર કોઇ કાયદેસર પગલાં લઇ શકાય. પરંતુ આવી વારંવાર બહુ ફરિયાદો કરનારા પોતે આજે સરકારમાં હોવા છતાં અત્‍યાર સુધી એમણે આવું કશું જ કર્યું નથી, અરે આવી ગેરરીતી આચરનારા મદ્રેસાઓની યાદી સરખી પણ, તેની વિગતે માહિતી સરખી પણ એમણે જાહેરમાં મૂકી નથી.
ત્‍યારે શું એમ માનવું કે આ લોકોના હાથમાં હિંદુઓમાં મુસ્લિમ વિરોધી લાગણી ઉશ્‍કેરવા માટેનો આ પણ એક સસ્‍તો મુદ્દો માત્ર છે ? એમને આ સવાલ ઉકેલવામાં રસ નથી. માત્ર તેને સળગતો રાખીને રાજકયી લાભ ખાટતા રહેવામાં જ રસ છે ? આ પણ એક ભારે બેજવાબદાર, વિઘાતક અને અંતરાયરૂપ ભૂમિકા છે.
અહીં એટલું ઉમેરવું જોઇએ કે બધા મુસ્લિમો મદ્રેસામાં ભણે છે એવી છાપ પણ ખોટી છે. વાસ્‍તવિકતા તો એ છે કે મદ્રેસામાં જનારા બાળકોમાંથી મોટા ભાગના ગરીબ હોય છે. ...............ઉપરાંત ઘણા મદ્રેસાઓમાં ધામિર્ક શિક્ષણની સાથે અન્‍ય શિક્ષણ પણ આપવાનું શરૂ થયું છે. એમના અભ્‍યાસક્રમને આધુનિક બનાવાયા છે. થોડા વખત પહેલાં ભરૂચ બાજુના એક સંચાલકે તો જાહેરમાં નિમંત્રણ આપ્‍યું હતું કે અમારે ત્‍યાં આવીને જોઇ જાવ કે અમારા મદ્રેસામાં અમે કેવું એક અઘતન વિધાધામ જેવું શિક્ષણ આપી રહ્યા છીએ.
એટલે હવે મદ્રસાના મુદ્દાની લાકડી બનાવીને બધા મુસ્લિમોને એક સાથે ફટકારતા રહેવાનું બંધ થવું જોઇએ. અહીં એવું પણ યાદ આવે છે કે દસ પંદર વરસ પહેલાં સુરેન્‍દ્રનગરનો એક તેજસ્‍વી મુસ્લિમ વિધાર્થી એસ.એસ.સી.માં સંસ્‍કૃત વિષયમાં ગુજરાતભરમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો હતો. ખોટી માહિતી આપીને મુસ્લિમો પ્રત્‍યે દ્વેષભાવ વધારતા રહેવાના બદલે આવી સાચી પણ ઉપેક્ષિ‍ત માહિતીને વધુ ને વધુ ઉજાગર કરતા રહેવાથી દૂરીભાવ ઓવો થશે અને હિંદુત્‍વની વધુ સેવા થશે.
( કાન્તિ શાહ, ‘‘ હિંદુત્‍વ એક અધ્‍યયન ‘‘ પેજ ૯૫ – ૯૬ )
છાસવારે આપણા સમાચાર પત્રો અને લેખકો મદ્રેસાઓ વિશે નકારાત્‍મક લખાણો લખતા રહે છે, જેનો વાસ્‍તવિકતાથી કોઇ સંબંધ નથી હોતો, આવા રિપોર્ટરો અને લેખકોએ કોઇ મદ્રેસાની કદી મુલાકાત પણ લીધી નથી હોતી, બલકે સીધું જ પશ્ચિમી મીડીયાનું અનુસરણ કે અનુવાદ એમના લખાણોથી છલકતું હોય છે. આજના માહોલમાં જરૂરી છે કે આ બાબતે સ્‍પ્‍ષ્‍ટતા થાય. હું પોતે મદ્રેસાનો મોલ્‍વી હોવા ઉપરાંત હાલ એક મદ્રેસામાં જ કાર્યરત છું માટે મને આવા રીપોર્ટો અને નકારાત્‍મક સમાચારોનો ખાસો કડવો અનુભવ છે, સ્‍પ્‍ષ્‍ટ છે કે માણસ વિશે કોઇ વાસ્‍તવિકતાથી દૂર સદંતર ખોટું લખે તો એને તકલીફ પહોંચે, અને જો પાછો સામે વાળો તમારી ચોખવટ અને નિર્દોષતા સાંભળવા તૈયાર ન હોય તો પછી મનની વેદના મન જ જાણે.
સુવાસના હિંદુ વાચકોને જો આ બાબતે કોઇ સાચી અને સ્‍પષ્‍ટ માહિતી જોઇતી હોય, અથવા કંઇ શંકા કુશંકા હોય તો અમારાથી સંપર્ક કરે.

Friday, April 21, 2006

તૌહીદની મયકદા --- એકેશ્વરવાદનું મદિરાલય

કેનેડામાં વસતા જનાબ મોહમ્‍મદઅલી ભૈડુવફા ‘ સાહેબે એક નઝમ (કવિતા) સુવાસ માટે મોકલાવી છે, પોતાના મનની વાત રજૂ કરતા તેઓ ઇસ્‍લામ અને મુસલમાનનોની પડતીથી ચિંતિત છે, પણ આશા અમર છે, તેમણે આશા અને ઉમ્‍મીદની વાત કરી છે, પડતીનુ તો નામ પણ નથી લીધું. હિમ્‍મત અને હોસલાનો સંદેશ સમી આ કવિતા અમે સુવાસ દ્વારા અન્‍યો સુધી પહોંચાડીને એની સુવાસ પ્રસરાવવાનો પ્રયત્‍ન કરીને મુહમ્‍મદ અલી ભાઇનો આભાર વ્‍યકત કરીએ છીએ.
તૌહીદની આ મયકદા છલકાયને રહેશે.
કુરઆનઆ આદેશ પણ ફેલાયને રહેશે.
કુફ્ર્ના વાદળ સહુ વિખળાયને રહેશે.
આ ધરાપર ન્યાય પણ તોળાયને રહેશે.
હો જીવન મુસ્લીમનુ જો ખુદ્દાર ખલીલ સમ
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.
બસ ખુદાનુ નામ લઈ આગળ વધી જાઓ.
ને નબીનુ કામ લઈ આગળ વધી જાઓ.
કામયાબી આવશે ચુમતી ક્દમ તારા ;
ઈમાનનો આ જામ લઈ આગળ વધી જાઓ.
નફરત તણી દીવાલ પણ ભેદાયને રહેશે.
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.
સીદ્દીકી શાનથી ચલો,ઊમરની આનથી ચાલો;
સદાએ હક બુલં કરવા દિલોને જાનથી ચાલો;
ખુદાથી માગીને લઈલો ગની ની માતબર દોલત;
મરી ફીટવાને મઝહબ પર અલીની શાનથી ચાલો.
ખુદાઈ પ્રેમના ઝરણા બધે રેલાયને રહેશે.
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.
અમારી કૌમની કશ્તી લગાવી પાર છોડીશું;
કરીશું સર શિખર સર્વે ન એકે દ્વાર છોડીશું.
અમે છીએં જવાં મુસ્લીમ બુલંદ હોંસલાબાજો;
ખુંદી વળશું બધા દરિયા નકો મઝધાર છોડીશું.
ઈન્સાનિયતની ખુશ્બુ પણ મ્હેકાયને રહેશે.
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.
વિશ્વ પણ સમજી જ્શે માર હજુરનો જમાલ;
વિશ્વમા પેદ કદી થઈ નથી જેની મિસાલ;
કુદરતે અર્પયા હતા કંઈ કેટલાયે મૌઅજિઝહ
અંગુલિના એક ઈશારામા કપાયો'તો હિલાલ.
કથનો નબીના "વફા"ચર્ચાયને રહેશે.
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.
મોહમ્મદઅલી ભૈડુ"વફા"

Monday, April 17, 2006

ગુનેગારને વહેલી અને ન્‍યાયી સજા મળવી જોઇએ.


કોઇ પણ સમાજ, દેશ અને ધર્મમાં સમાજની રક્ષા અને વ્‍યક્તિના જાનમાલ તથા આબરૂના રક્ષણ માટે કાયદા ઘડવામાં આવેલા હોય છે અને એ કાયદા તોડનાર માટે સખત સજાઓ નક્કી કરવામાં આવી છે. સમાજમાં શાંતિની સ્‍થાપના માટે તે બેહદ જરૂરી છે. કારણ કે માનવીને દુરાચાર અને ગુનાહથી કયાં તો અલ્‍લાહનો ડર અવા સરકાર તરફથી સજાનો ભય જ રોકી શકે છે.
આ જ આધારે ઇસ્‍લામમાં પણ વિવિધ ગુનાઓની વિવિધ સજાઓ નક્કી કરવામાં આવી છે. ઘણા લોકો ઇસ્‍લામી સજાને આકરી અને અત્‍યાચારી સમજે છે. પણ તેનું કારણ અધૂરી જાણકારી છે. શરીરના કોઇ ભાગમાં સડો લાગે ત્‍યારે તેને કાપી નાંખવું શરીરના બીજા ભાગને બચાવવા માટે હિતકારી છે. એ જ રીતે સમાજમાં વધતી જતી ગુનાખોરીને ડામવા માટે નક્કી કરવામાં આવેલી ઇસ્‍લામી સજાઓ અતિ યોગ્‍ય અને જરૂરી છે. તેનાથી સમાજને લાભ જ પહોંચે છે.
આપણા દેશની જ વાત કરીએ તો આપણે જોઇ શકીએ છીએ કે કાયદા અને ન્‍યાયની હાલત કેટલી ચિંતાજનક છે. ગુનેગારો ઉભરાય રહયા છે. પણ કોઇના પેટનું પાણી હાલતું નથી. ન્‍યાયના નામે નાટક જ ખેલાય છે. લોકોને સાચો ન્‍યાય મેળવતા નાકે દમ આવી જાય છે. કોર્ટમાં કેસોના ઢગલા ખડકાયા છે. વર્ષોના વર્ષો સુધી કોઇને ન્‍યાય મળતો નથી. કાયદાઓ તો ઘડાતા રહે છે, પણ તેનો અમલ કરાવી શકવા શાસન લાચાર છે. ફકત વકીલોને જ મજા છે. ગુંડાતી માંડી રાજકરણીઓ સુધીના બધા જ મજા કરે છે. જો ગુનેગારોને તાત્‍કાલિક સજા મળે તો જ સાચો ન્‍યાય મળ્યો ગણાય. આજનો ન્‍યાય તો એવો છે કે સાચો ગુનેગાર છૂટી જાય છે અને ‍ બિચારો ‍નીર્દોષ પીટાય મરે છે.કેમ કે કાયદાનો અમલ કરનારા ગંભીર નથી હોતા. ઇસ્‍લામી સજાઓ વિશે પશ્ચિમી દેશો માનવ અધિકારોના નામે ખૂબ બુમા બુમ કરે છે, પણ બોસ્નિયા , અફઘાનિસ્‍તાન ઇરાક જેવા દેશોમાં હજારો બેગુનાહો પર અત્‍યાચારો ગુજારવામાં આવ્‍યા ત્‍યારે માનવહકની વાતો કરનારા ભુગર્ભમાં ઉતરી જતા દેખાયા. ઇસ્‍લામે ગુનાહોના પ્રકાર મુજબ સજાના કાયદા બનાવ્‍યા છે. વ્‍યભિચાર, ખૂન , ચોરી વગેર દરેકની અલગ અલગ સજાઓ છે. ઇસ્‍લામે ગવાહ - સાક્ષીના પ્રમાણિક કયાન પર ન્‍યાય તોળવાનું સુચવ્‍યું છે. જેથી ગણતરીના સમયમાં ન્‍યાય મળી જાય છે. સાક્ષી માટે કડક નિયમો છે. ખોટી સાક્ષી સજાને પાત્ર છે. હવે કાયદા અને ન્‍યાયશાસ્‍ત્રના ખેરખાં વિચારે કે દુનિયાના દેશોમાં ચાલતી સજાઓ માનવ જાતિને શાંતિ સલામતી આપે છે કે ઇસ્‍લામી સમાજની કુરાની સજાઓ . તાત્‍કાલિક ન્‍યાય અને ગુનાહની સજાનો ડર જ શાંતિ સ્‍થાપી શકે છે. મોટા મોટા ન્‍યાયાલયોના બદલે ખુલ્‍લા મેદાનોમાં થતા ફેસલા જ વધુ અસરકારક બની શકે છે.

તિજોરીની તું પટલાણી

સોની નોટ ,,,

મૃત્‍યુ લોકની મોંઘી લ્હાણી
કવિજનોની અમૃતવાણી
તિજોરીની તું પટલાણી
બેંક રાજ્યની તુ છો રાણી
હોય ભલે ગાંડી પણ શાણી
જોઇ તને સૌ પાણી પાણી

તારો જાદુ સૌ જન ઉપર
રાજ્ય કરે તુ તન મન ઉપર
ઘણા મરે તુજ જોબન ઉપર
ભુખ્‍યા પડે જ્યમ ભોજન ઉપર
હું વારી તુજ લોચન ઉપર
નિચ્‍છાવર તુજ જીવન ઉપર

તારાથી વ્‍યવહારો ચાલે
તારાથી વ્‍યાપારો ચાલે
તારાથી દરબારો ચાલે
તારાથી સરકારો ચાલે
તારાથી અખબારો ચાલે
તુજ માટે તલવારો ચાલે

તુજ વિણ કંઇ બેકાર ફરે છે.
તુજ વિણ કંઇ બેઝાર ફરે છે.
લાખો નિરાધાર ફરે છે.
શોધવા તુજ સહકાર ફરે છે.
તુ મળતા અવતાર ફરે છે
જીવન કેરો સાર ફરે છે.

Sunday, April 16, 2006

મારી પ્‍યારી સોની નોટ

મારી પ્‍યારી સોની નોટ
રાજદુલારી સોની નોટ
જગથી ન્‍યારી સોની નોટ
સૌથી સારી સોની નોટ
અમૃત ક્યારી સોની નોટ
સ્‍વર્ગની બારી સોની નોટ

કેવી અંગે અંગે શોભે
લીલુડી શી રંગે શોભે
લટકાળી શી ઉમંગે શોભે
જાણે વીજ વિહંગે શોભે
લાડકડી શી ઢંગે શોભે
મુજ સમ સહચર સંગે શોભે

ટંકશાળ પિયર છે તારું
સાસરિયું નિયર છે તારું
ઉન્‍નત સ્‍થાન ડીયર છે
તારું માન ઘણું છે હીયર
તારું કેવું દિલ કિલયર છે
તારું હરદમ શુભ ઇયર છે તારું
‘ બેકાર ‘ ઉપનામ ધરાવતા ખાનપૂર જિલ્‍લા ભરૂચના અને રાંદેર , સુરતમાં વસી ગયેલા સ્‍વર્ગર્થ કવિની એક રચના, તેઓ શ્રી ખ્‍યાતનામ હઝલ કહેનાર કવિ હતા.
વધુ હવે પછી

Friday, April 14, 2006

નમાઝ , એક બહુ હેતુલક્ષી ઇબાદત.


નમાઝ ઇસ્‍લામ ધર્મમાં એક મહત્‍વની ઇબાદત ગણાય છે. સામાન્‍ય પણે ધાર્મિક ક્રિયા ગણાતી આ ઇબાદતને લોકો એક જાતની ઇબાદતથી વધુ કંઇ સમજતા નથી. નમાઝના સમયો , સંખ્‍યા , તેના અન્‍ય આદર્શો પ્રત્‍યે સજાગ ન હોવા અને તેનું જ્ઞાન ન હોવાથી એની સંપૂર્ણ મહત્‍વતા અને સર્વગ્રાહિતા લોકો સમક્ષ આવતી નથી.
દિવસભરમાં નમાઝ પાંચ સમયે પઢવામાં આવે છે. સવારથી લઇ રાત્રી સુધીનો સમય આ માટે નિયુકત છે. એટલે કે રાત્રીને માણસ આરામ અને સુવા માટે સમજે છે, અલ્‍લાહ તઆલાએ પણ માનવીના આરામનો ખ્‍યાલ રાખી રાત્રીમાં કોઇ નમાઝ નક્કી કરી નહીં.
સવારે પ્‍હો ફાટવાથી લઇ સુર્યોદય સુધી ફજરની પહેલી નમાઝનો સમય છે. એટલે આ સમયે ઊંઘ પૂરી કરી ઊઠી જવું જોઇએ , સર્વપ્રથમ અલ્‍લાહની ઇબાદત કરવા માટે નમાઝ પઢવાનું કહેવામાં આવ્‍યું. આમ દિવસનો આરંભ નમાઝથી કરવાનું કહી દરેક વસ્‍તુના પ્રારંભે અલ્‍લાહના અસ્તિત્‍વના એકરાર, તેની સ્‍તૃતિ અને તેનાથી જ સઘળું થવાની શ્રધ્ધા વ્‍યકત કરવાનું કહેવામાં આવ્‍યું.
એક બીજી રીતે એવું પણ દશાર્વવામાં આવ્‍યું કે હવેથી તમારા કામનો સમય શરૂ થાય છે. પયગંબર સાહેબે તાકીદ ફરમાવી છે કે સવારે વહેલા ઉઠો , અને કામે લાગો અલ્‍લાહ તઆલા રોઝીમાં બરકત આપશે.
આ જ પ્રમાણે દિવસભરમાં પાંચ નમાઝો નક્કી કરી આખા દિવસનું ટાઇમ ટેબલ બનાવી દેવામાં આવ્‍યું. રાત્રીની છેલ્‍લી નમાઝ ( ઇશા ) વિશે એટલે જ તાકીદ છે કે ત્‍યાર પછી વાતો કરવી, મહેફિલ યોજવાની મનાઇ છે.

પાંચ સમયની આ નમાઝો માટે જે પ્રણાલી અને રીત દર્શાવવામાં આવી છે તે પણ સમાજ અને સમુહ લક્ષી છે, એટલે કે વ્‍યક્તિગત ઇબાદત અને ધાર્મિક ક્રિયાને પણ સમાજ અને સમુહલક્ષી હેતુપૂર્ણ બનાવી દેવામાં આવી. આમ કરવાથી એક લાભ આ છે કે ઇબાદત માટે એક સુંદર માહોલ અને વાતાવરણ બને છે, અને દરેક માટે વ્‍યક્તિગત રીતે પણ તે કાર્યને અંજામ આપવું સરળ થઇ જાય છે. ઘણી વાર આવો માહોલ જ માણસને કોઇ કાર્ય કરવા પ્રેરે છે. જો નમાઝ એક વ્‍યક્તિગત ક્રિયા જ હોત અને દરેકે ઘરમાં જ પૂરી કરવી જરૂરી ઠેરવવામાંઆવત તો એની બજવણીમાં શકય છે ઘણા લોકો સુસ્‍તી કરત કે ઇચ્છિત તકેદારી ન બતાવત.
પાંચ સમયે આમ મહોલ્‍લાના સઘળા લોકોને ભેગા થવાની તક આપી એક સુગઠિત સમાજ માટે ઇસ્‍લામે સુંદર બુનિયાદ નાંખી છે. આમ ભેગા થઇ લોકો એક બીજાના ખબર અંતર પૂછી શકે છે. મદદરૂપ થઇ શકે છે. વાકેફ રહી શકે છે. જો નમાઝમાં કોઇ ગેર હાજર હોય તો એના વિશે પૃચ્‍છા કરી શકાય છે કે તે કોઇ મુસીબતમાં છે કે તકલીફમાં છે . ઇસ્‍લામની સર્વગ્રાહિતા વિશે એક અન્‍ય બાબત પણ વિશેષ ધ્‍યાન માંગી લે છે. એક સુંદર , તંદુરસ્‍ત અને દરેક રીતે સમતુલિત સમાજની રચના ઇસ્‍લામનો વિશેષ ધ્‍યેય છે. આ માટે દરેકને તેનું યોગ્‍ય સ્‍થાન, માન સન્‍માન , સમાન અધિકારો , ઉપરાંત દરેક પ્રકારની સલામતીની બાંહેધરી આપવામાં આવી છે. સુંદર અને સ્‍વસ્‍થ સમાજરચના માટે સમાજના સભ્‍યો માંહે ઊંચ-નીચ અને વ્‍યક્તિઓ માંહે આર્થિક તફાવત મોટો અવરોધ છે. ઇસ્‍લામમાં આ બાબતની વિશેષ તકેદારી રાખવામાં આવી છે. નમાઝની રીત એવી રાખવામાં આવી કે એ વડે દરેકને એકબીજા પ્રત્‍યે સમાનતાની લાગણી ઉત્‍પન્ન થાય. કોઇ પોતાને બીજાથી મોટો ન સમજે. નમાઝમાં દરેક માણસ અલ્‍લાહ સમક્ષ ઉભો રહે છે. અને અલ્‍લાહ સમક્ષ જ્યારે દરેક માણસ પોતાને બીજાથી સમાન ગણે તો સામાન્‍ય જીવનમાં એની અસર પડે એ સ્‍વાભાવિક છે.
આ જ પ્રમાણે નમાઝનું એક પાસું મુસ્લિમ સમાજના આર્થિક ઉધ્ધાર સાથે જોડવામાં આવ્‍યું છે. જો કોઇ માણસ બીમારીના કારણે મરણ પથારીએ હોય, અને હવે સારા થવાની આશા નહિવત હોય તો એના માટે આદેશ છે કે તે દરેક નમાઝના બદલામાં નિશ્ચિત માત્રામાં અનાજ કે રકમ ગરીબને આપી દે. ઝકાત , સદકહ ઉપરાંત આવા કેટલાયે અવસરો છે જયાં આદેશ છે કે ગરીબોને આટલું દાન કરવામાં આવે.
આનાથી ફલિત થાય છે કે નમાઝ એક બહુર્મુખી ઇબાદત છે. અને મુસલમાનના જીવનમાં તે અનેક રીતે મુખ્‍ય ભાગ ભજવતું પરિબળ છે.
આ આધારે સમજમાં આવે છે કે ઇસ્‍લામમાં નમાઝને અલ્‍લાહ રસૂલના એકરાર પછી મહત્‍વની ઇબાદત ગણાવવામાં આવી છે તે બિલ્‍કુલ ઉચિત અને યોગ્‍ય છે.

વિજ્ઞાન અને ધર્મ (ઇસ્‍લામ)

માનવીનો સંબંધ એના આંખ નાક કાન વગેરે સાથે શું છે ?
આ બધાં એના અવયવો અને અંગો છે.
આ તો શરીરના અંગો થયા. આ જ પ્રમાણે માનવીય જીવનના અન્‍ય ઘણા પાસાંઓ અને અંગો છે , શાદી વિવાહ , શિક્ષણ , વેપાર , વગેરે બાબતો માનવીય જીવનના અંગો કહેવાય. અને એને લગતી બાબતોની જાણકારી માનવીને હોવી આવશ્‍યક છે. આ જ પ્રમાણે વિજ્ઞાન સાયન્‍સ ટેકનોલોજી પણ માનવજીવનનાં અંગો છે , અને માનવી તેનાથી અળગો ન રહી શકે.
જો કોઇ સમાજ કે વ્‍યક્તિ આવી બાબતોથી અળગો રહે , એનાથી સુગ રાખે કે આવી બાબતો પરત્‍વે એની પાસે પુરતું ગાઇડન્‍સ ન હોય તો આપણે કહી શકીએ કે આધુનિક વિશ્વમાં એનું સ્‍થાન પાછળ છે.
ઇસ્‍લામ એક સંપૂર્ણ જીવન વ્‍યવસ્‍થા હોવાના કારણે તે પણ માનવજીવનના તમામ વિભાગો સાથે સમાંતર અને અતૂટ સંબંધ ધરાવે છે.
વિજ્ઞાન એ માનવજીવનનું અત્‍યંત મહત્‍વપૂર્ણ અંગ છે. માટે વિજ્ઞાન બાબતે ઇસ્‍લામનો અભિગમ નકારાતમક ન હોય એ નક્કી છે. અમારા આ કથનને પૂરવાર કરવા અમે અમૂક બાબતો નીચે જણાવવીએ છીએ.
કુર્આનમાં અનેક સ્‍થળોએ અલ્‍લાહ તઆલાએ માનવીને સંબોધન કરીને અલ્‍લાહના સર્જનોમાં ચિંતન-મનન કરવાનો આદેશ આ૫યો છે. એક જગાએ અલ્‍લાહ તઆલા કહે છે ,
શું તમે ઊંટને ની જોતા, તેને કેવું પેદા કરવામાં આવ્‍યું છે ?
આકાશને નથી જોતા , તેને કેવી ઊંચું બનાવવામાં આવ્‍યું છે ?
જમીનને નથી જોતા , કેવી પાથરવામાં આવી છે ?
એક જગાએ કુર્આનમાં છે ,
અમે લોઢું – લોખંડ પેદા કર્યું છે, જે ઘણું કઠણ છે અને એમાં તમારા માટે ઘણા લાભો છે.
કુર્આનમાં છે કે અલ્‍લાહ તઆલાએ એક નબીને લોખંડ વડે બખ્‍તર બનાવવાની કારીગરી શીખવાડી હતી.
હઝરત નૂહ નબી બાબતે કુર્આનમાં છે કે અમે એમને અમારા આદેશ પ્રમાણે નાવડી બનાવતા શીખવાડયું.
કુર્આનમાં સ્‍પષ્‍ટ ઉલ્‍લેખ છે કે ધરતી પર પહાડોનું અસ્તિત્‍વ ધરતીને હાલક ડોલક થવાથી બચાવે છે. ધરતી કંપ વિશેના કારણો દર્શાવતી આજની થિયરી પણ આ બાબતને સમર્થન કરે છે.
નમાઝ ઇસ્‍લામની મહત્‍વની ઇબાદત છે, નમાઝમાં કિબ્‍લા તરફ મોઢું કરવું જરૂરી છે. કિબ્‍લો મકકા શરીફમાં છે. આ દુનિયાના કોઇ પણ ખુણામાં વસતા મુસલમાને દિશાઓનું જ્ઞાન મેળવવું જરૂરી છે , એ સ્‍પષ્‍ટ છે.
નમાઝ એક દિવસ રાતમાં પાંચવાર પઢવાની છે , આ માટે પાંચ સમય નક્કી છે. સવારે પરોઢ થયા પછી સુર્ય ઉગતાં પહેલાં ફજરની નમાઝ , બપોરે સૂરજ બિલ્‍કુલ માથા પર આવીને પશ્ચિમ તરફ ઢળી જાય ત્‍યારે ઝોહરની નમાજ, ત્‍યાર પછી વસ્‍તુનો પડછાયો વસ્‍તુના કદની એક ગણો કે બે ગણો થાય ત્‍યારે અસરની નમાઝ. સુર્યાસ્‍ત થાય ત્‍યારે મગરિબની નમાઝ અને તે પણ ચોમેર અંધારૂં પથરાય જાય તે પહેલાં , ચોમેર અંધારૂં પથરાય જાય એટલે ઇશાની નમાઝ.
આમ નમાઝ એક એવી ઇબાદત છે કે એ માટે ભુમિતી, ભુગોળ અને ખગોળનું જ્ઞાન જરૂરી છે. મુસલમાનોએ આ બાબતને અત્‍યંત આધુનિક શોધો સાથે સાંકળી લીધી છે, અને દરેક દેશમાં અને દરેક શહેરોમાં ત્‍યાનાં નક્કી અક્ષાંસ રેખાંશ પ્રમાણે સુર્યાસ્‍ત અને સુર્યોદયનો સમય ઉપરાંત અમે ઉપર જણાવ્‍યું તેમ આખા દિવસના સુર્યના ભ્રમણનો હિસાબ કરી નમાઝોનો સમય નકકી કરવામાં આવે છે. ઉપરાંત કિબ્‍લાની દિશા નક્કી કરવા માટે વિશેષ હોકાયંત્રો બનાવવામાં આવે છે.
માલદાર મુસલમાન માટે ઝકાત રૂપે માલનો ચાલીસમો અને ખેત પેદાશનો દસમો કે વીસમો ભાગ આપવો જરૂરી છે. મુસલમાનના અવસાન થયે એના વારસદારોને શરીઅતે દર્શાવ્‍યા પ્રમાણે ભાગો આપવા જરૂરી છે, જેમાં કોઇને છઠ્ઠો ભાગ , કોઇને આઠમો ભાગ, કોઇને ચોથો ભાગ, કોઇને ત્રીજો ભાગ , કોઇને એક કરતાં બમણો. અને જો આવા વારસદારો એકથી વધારે હોય , અને વિવિધ પ્રકારનો ત્રીજો , ચોથો , છઠ્ઠો વગેરે હક રાખતા હોય તો પછી એ બધા વચ્‍ચે ‍એમના નક્કી ભાગો પ્રમાણે વહેંચણી કરવા માટે ખાસ્‍સા પ્રમાણમાં ગણિતની જાણકારી આવશ્‍યક છે.
આ બાબતે મુળ વાસ્‍તવિકતા એ છે કે કાળની થપાટોએ દુનિયાના નકશા પરથી મુસ્લિમ આધિપત્‍યના સમાપનની સાથે જ મુસ્લિમ વિશ્વ પાછળ પડવા માંડ્યું , રશિયામાં જ્યારે સામ્‍યવાદની ક્રાંતિ આવી તો તેનો અસર માર મુસલમાનનોને પડયો, આજે સ્‍વતંત્ર થયલા ડઝનેક મુસ્લિમ દેશો તે વખતે તેમના જહોજલાલી ભોગવી પતન તરફ જઇ રહ્યા હતા, આવા સમયે મુસલમાનોમાં જ કોઇ નવી ક્રાંતિકારી ચળવળ ઉભી થાય એના બદલે રશિયાની સામ્‍યવાદી વિચારધારાએ એનો અજગર ભરડો લઇ ત્‍યાંથી ઇસ્‍લામી અસ્તિત્‍વના અવશેષો સુદ્ધાં નષ્‍ટ કરવાના પ્રયત્‍નો કર્યા. સાચા શબ્‍દોમાં કહીએ તો દાંતરડા અને હથોડાનો મુળ માર એમને જ વાગ્‍યો છે.
અને આજે વિશ્વમાં જેમનો ડંકો વાગ રહ્યો છે, એવા અમેરિકાની શાસન ધુરા એવા લોકો પાસે છે, જેમની સત્‍તાના સુત્રોને સદા યુદ્ધોના ભણકારાથી જ સલામત રહ્યા છે. તેઓ આજે અકારણે પણ મુસલમાનોને બદનામ કરવાનો કોઇ પ્રયત્‍ન છોડતા નથી.
નહિતર આ વાસ્‍તવિકતા કોની સામે નથી કે પોતાના પડતી કાળ દરમિયાન ઈસાઈઓ , યહૂદીઓ અને હિન્‍દુઓ અને અન્‍ય તમામ કોમો આ કાળની આવી માર ખાય ચૂકી છે,
કાળનું ચક્ર આમ જ ફરે છે, અને એ સમય દૂર નથી કે મુસલમાનો પણ તેમના આજની શેક્ષણિક પછાતપણામાંથી બહાર આવશે, અબલત્ત અમે પ્રાથના કરીએ છીએ કે હવે પછી દુનિયામાં બધા જ સમાન રહે, મુસલમાનોની પ્રગતિ કોઇની પડતીના ભોગે ન હોય. જેમ કે આજે ઘણા બધા તેમની પ્રગતિ અન્‍યોની પડતીમાં જ જૂએ છે.

Wednesday, April 12, 2006

ઇસ્‍લામી શિક્ષણમાં ભારત .


પયગંબર સાહેબ (સ. અ. વ.) અને ભારત ; આ બે બાબતોને આવરી લેતા વિષય પર કેટલાયે પુસ્‍તકો લખાય ચૂક્યા છે. ઈતિહાસ સંબંધી ઘણા પુસ્‍તકોમાં ઇસ્‍લામના ઉદય સમયે ભારત અને પડોશી પ્રદેશોની પરિસ્થિતિ અને ઇસ્‍લામ બાબતેના પ્રત્‍યાઘાતો વિશે પણ પ્રકાશ ફેંકવામાં આવ્‍યો છે.
અત્રે આ વાતનો ઉલ્‍લેખ પણ જરૂરી છે કે ઇસ્‍લામના મુખ્‍ય બે શિક્ષણ સ્‍ત્રોતો કુર્આન અને હદીસમાં સ્‍પષ્‍ટ પણે કહેવામાં આવ્‍યું છે કે વારે ઘડીએ સન્‍માર્ગથી વિચલિત થતા માનવીને સન્‍માર્ગે લાવવા માટે અલ્‍લાહ તરફથી અનેક ‍સંદેશવાહકો એટલે કે પયગંબરો દરેક કાળે દરેક પ્રદેશમાં મોકલવામાં આવ્‍યા હતા. હઝરત આદમ (અલૈ.)થી લઇ અંતિમ નબી હઝરત મુહમ્‍મદ (સ.અ.વ.) સુધી નબીઓનો લાંબો દોર ચાલ્‍યો છે.
સૌપ્રથમ માનવી અને સૌ પ્રથમ નબીનું સન્‍માન મેળવનાર હઝરત આદમ જન્‍નત એટલે કે સ્‍વર્ગમાંથી ધરતી પર ઉતારવામાં આવ્‍યા , પણ કયાં ?
પયગંબર મુહમ્‍મદ સાહેબ (સ.અ.વ.)નું કથન છે કે તેઓને ભારતની ધરા પર ઉતરાણ કરાવવામાં આવ્‍યું હતું. કેટલાક આરબ લેખકો આ કારણે જ ભારતને પૈતૃક ઘર ગણાવે છે. ઇસ્‍લામી ગ્રંથોમાં ઘણા સંશોધકોએ આ વાત પણ લખી છે કે આદમ (અલૈ.) કેટલાક ફૂલ અને છોડ જન્‍નત (સ્‍વર્ગ)માંથી સાથે લાવ્‍યા હતા. જેના કારણે ભારતની જમીન ઘણી જ ફળદ્વુપ બની. ઇસ્‍લામી માન્‍યતા અનુસાર સ્‍વર્ગની ચાર નદીઓ ધરતી પર વહેતી મૂકવામાં આવી છે , જેમાંથી એક ભારતમાં વહે છે.
મુસ્લિમ ઇતિહાસકારો અન્‍ય એક બાબતને પણ વિશેષ રૂપે લખે છે કે અરબસ્‍તાનમાં હઝરત મુહમ્‍મદ (સ.અ.વ.)ના આગમનના સમાચાર સાંભળી પૂર્વભારતના એક અગ્રણી રાજાએ તેના તરફથી એક શુભેચ્‍છા પ્રતિનિધિ મંડળ પણ મોકલ્‍યું હતું. અને હઝરત મુહમ્‍મદ સાહેબ દ્વારા આપવામાં આવતા માર્ગદર્શન વિશે માહિતી મંગાવી હતી. આ પ્રતિનિધિ મંડળ તેની સાથે કેટલીક સોગાદો પણ લઇ ગયું હતું , અરબસ્‍તાન પહોંચતા આ મંડળને હઝર મુહમ્‍મદ (સ.અ.વ.) સાહેબે તેમની મસ્જિદમાં માન સન્‍માન સાથે આવકાર આપ્‍યો હતો. અને આવેલી ભેટો તેમના સાથીઓમાં વિતરણ કરી હતી. આ પ્રતિનિધિ મંડળને આવકાર આપતાં પયગંબર સાહેબે કહ્યું કે ‘ મને ભારતની દિશામાંથી જન્‍નતની ખુશ્‍બૂ આવે છે.
વેપારી દ્રષ્ટિએ જોઇએ તો ઇતિહાસકારોએ ભારત અને અરબસ્‍તાનના સંબંધો બાબતે અનેક વાતો લખી છે , એક સામાન્‍ય જ્ઞાન ધરાવનાર માણસ એનાથી વાકેફ હશે જ.
આ બધી પોરાણિક વાતોથી એક વાત સ્‍પષ્‍ટ થાય છે કે ભારતવાસીઓ અને ઇસ્‍લામના સંબંધો ઘણા જૂના અને ગાઢ છે.
ધાર્મિક દ્રષ્ટિએ મહત્‍વની ગણી શકાય એવી આ વાતો અત્રે એટલે લખીએ છીએ કે આજકાલના કલુ‍ષિત વાતાવરણમાં એનાથી લોકો બોધગ્રહણ કરે અને પરસ્‍પર સ્‍નેહ અને વિશ્વાસથી રહેવાનો પઠ ગ્રહણ કરે.
ગુજરાત ટુ ડે, તા. ૧૯ માર્ચ ર૦૦૬ પરથી , સુધારા વધારા સાથે.
ઇસ્‍લામ અને અન્‍ય ધર્મ પુરૂષો

ઇસ્‍લામ એ ફક્ત મુસલમાનોનો અથવા લોકો કહે છે તે પ્રમાણે ૧૪ સદીઓ પૂર્વે હઝરત મુહમ્‍મદ સાહેબે સ્‍થાપેલ ધર્મ નથી. બલકે તે એક ઇશ્વરીય વ્‍યવસ્‍થા છે, જે માનવીના ઉત્‍પત્તિ કાળથી અલ્‍લાહ તઆલાએ માનવીને અર્પણ કરી છે. અલ્‍લાહ તઆલાએ સૌપ્રથમ હઝરત આદમને પેદા કર્યા અને તેમનાથી જ માનવવંશ ચાલ્‍યો , આ માનવવંશમાં અલ્‍લાહ તઆલા તરફથી જે કોઇને વિશિષ્‍ટ દરજો આપી અલ્‍લાહ તઆલાએ એમને લોકોના માર્ગદશર્ક કે નબી તરીકે પસંદ કર્યા , તેમને નબી અને રસૂલ કહેવામાં આવે છે. દરેક કાળમાં અને દરેક પ્રદેશમાં અલ્‍લાહ તરફથી આવા નબીઓ , સંતપુરૂષો , ઇશ્વરીય દૂતો અને સંદેશવાહકો નક્કી કરવામાં આવ્‍યા હતા. અને આ બધા જ અલ્‍લાહના નિયુક્ત કરેલા અને અલ્‍લાહના નિકટ્મ બંદા હતા, તેમને સાચા સમજવું અને તેમનો આદર કરવો દરેક મુસલમાન માટે જરૂરી છે.
કુર્આનમાં અલ્‍લાહ તઆલાએ ઘણા નબીઓ અને ઇશદૃતોનો નામ જોગ ઉલ્‍લેખ કયો છે. અને અન્‍ય ઘણાઓનો નામ જોગ ઉલ્‍લેખ નથી. કુર્આનમાં જેમનો નામ જોગ ઉલ્‍લેખ છે, તેમના વિશે સ્‍પષ્‍ટ રૂપે અલ્‍લાહના નિકટમ બંદા હોવા અને તેઓના સંતપુરૂષ – નબી હોવાનું ઈમાન ધરાવવું , યકીન રાખવું જરૂરી છે, અને ઇસ્‍લામનો જ એક ફરજ છે. આવા નબીઓમાંથી કોઇ એકને પણ અલ્‍લાહના નબી ન માનનાર મુસલમાન કહી શકાય નહી. જેમ કે કુર્આનમાં મૂસા. ઈસા અને અન્‍ય નબીઓનો ઉલ્‍લેખ છે, માટે એમને અલ્‍લાહના નબી માનવા દરેક મુસલમાન માટે જરૂરી છે. આમ મુસલમાનો ઇસાઇઓ અને યહૂદીઓના નબીઓને આદર પૂર્વક સ્‍વીકારે છે અને માને છે.
રામ - કૃષ્‍ણ , બુધ્‍ધ કે અન્‍ય ધર્મ પુરૂષોનો ઉલ્‍લેખ કુઆર્નમાં નથી, પરંતુ કુર્આનમાં આ ઉલ્‍લેખ જરૂર છે કે પૂર્વેના દરેક કાળમાં દરેક પ્રદેશમાં અલ્‍લાહે નબીઓ અને દૂતો મોકલ્‍યા હતા. માટે શક્ય છે કે ભારતમાં મનાતી આ હસ્‍તીઓ પણ અલ્‍લાહના નેક બંદાઓ હોય .
અલબત્ત અત્રે યાદ રાખવું જોઇએ કે ઇસ્‍લામમાં અલ્‍લાહ સિવાય અન્‍ય કોઇની પણ પૂજા - પ્રાથનાની મનાઇ છે . માટે અલ્‍લાહને પ્રિય કોઇ વ્‍યક્તિ કે અલ્‍લાહનો કોઇ દૂત કે પયગંબર લોકોને એવી તાલીમ કદી ન આપે કે અલ્‍લાહને છોડી એને પૂજવામાં આવે અથવા તો અન્‍ય કોઇ દેવી દેવતાની ઉપાસના કે ભક્તિ કરવામાં આવે.
ઇસ્‍લામમાં એને શિર્ક એટલે કે અલ્‍લાહ સાથે અન્‍યોને ભાગીદાર કરવાનું જ મોટું ગુનાહિત કૃત્‍ય ગણાવમાં આવ્‍યું છે. માટે આવી હસ્‍તીઓ જો વાસ્‍તવમાં અલ્‍લાહના દૂતો હોય તો પણ મુસલમાનને મન તે પૂજ્નીય તો નથી જ. હઝરત મુહંમદ પયગંબર સાહેબ પણ મુસલમાનને મન પૂજ્નીય નથી, હા આવા દરેક મહાનુભાવો આદર પાત્ર જરૂર છે.

Monday, April 10, 2006

મીલાદુન્‍ન્‍બી સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ

આવતી કાલે ૧ર મી રબીઉલ અવ્‍વલ છે. એટલે કે પયગંબર હજરત મુહંમદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમનો જન્‍મ દિવસ પણ અને મરણ દિવસ પણ. લોકો આ દિવસે પયગંબર સાહેબના જન્‍મને સામે રાખી ખુશીઓ મનાવે છે અને ભૂલી જાય છે કે આ જ દિવસે એમનુ અવસાન પણ થયું હતું. ખુશી અને ગમ , બન્‍ને સરખા આ દિવસ સાથે જોડાયેલા છે. માટે યોગ્‍ય એ છે કે ખુશી કે ગમ મનાવવાના બદલે કંઇ સારી વાતો એમના જીવન વિશે જાણી એનું અનુસરણ કરવાનો પ્રયતન કરવામાં આવે. આ જ અનુસંધાનમાં ‘ સુવાસ ‘ નો આજનો અંક પ્રસ્‍તૃત છે.


પવિત્ર મૃખાવિંદ

આપ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ ઘણાં જ સોંદર્યવાન હતા. મધ્‍યમ કદ , રંગ ઘઉં વર્ણો, પહોળું ઊંચું કપાળ, મોટું માથું, ભવાં વાંકા - વાળથી ભરેલા , કાળી આંખો , મોટી પાપણો, ગાલ સફેદ , નાકમાં ચમક , પહોળું મોઢું , પાતળા હોઠ , ભરાવદાર દાઢી અને ભપકાદાર અવાજ ધરાવતા હતા. દોસ્‍તો એમના સોંદર્યથી ખૂબ પ્રભાવિત હતા. હઝરત અબ્‍દુલ્‍લાહ બિન સલામ (રદિ.) ઇસ્‍લામ પૂર્વે યહૂદીઓના મોટા વિદ્વાન હતા, એમણે જ્યારે પ્રથમવાર આપને જોયા તો તુરંત જ બોલી ઉઠયા કે ‘‘ ખુદાના સમ આ કોઇ જૂઠા માણસનો ચહેરો નથી. ‘‘
હઝરત જાબિર ( રદિ ) ફરમાવે છે કે પયગંબર સાહેબનું મુખડું ચાંદ સૂરજની જેમ ચમકદાર હતું , એમના એક અન્‍ય દોસ્‍ત વર્ણવે છે કે રાત્રે જ્યારે ચાંદ નીકળતો તો હું કદી ચાંદને જોતો અને કદી હઝરત મુહંમદ સાહેબના મુખને. પરંતુ મને પયગંબર સાહેબ ચાંદથી અધિક સોંદર્યવાન લાગતા હતા.
હઝ. આઇશહ (રદિ.) ફરમાવે છે કે એક વાર કોઇએ કાળી ચાદર આપ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમને ને ભેટ આપી,
પહેરી મને પૂછયું કે મને આ કેવી લાગે છે ?
મેં કહ્યું કે હે અલ્‍લાહના રસૂલ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ !
તમારો ઉજળો વાન અને ચાદરની કાળાશ સાથે
અને ચાદરની કાળાશ આપની ઉજ્જવળતા સાથે મળી ખીલી ઉઠ્યાં છે.
સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ
નિરાલી વાતો..

વધુ પડતા શાંત , જરૂરત વિના વાત નહિં, જ્યારે પણ બોલતા અટકી અટકી, વાક્યોને જુદા કરી સાંભળનારને યાદ રહી જાય અમે બોલતા.
ઘણીવાર એક જ વાત ત્રણવાર બોલતા.
શબ્‍દો જાણે માળામાં પરોવેલાં મોતી. સાંભળનારના હદય સોંસરવા ઉતરી જાય એવા. ઉપરાંત મીઠાશ તો ખરી જ.
પોતાના પર થયેલા અત્‍યાચારનો કદી બદલો નહીં , ઉલટાનું અત્‍યાચારી સાથે સદવર્તન દાખવતા.
સૌથી વધુ બુદ્ધિવાન અને માનસિક સજ્જતા ધરાવતા હતા. લડાઇઓમાં જીત , શત્રુના પ્રપંચથી બચી નીકળવું અને અન્‍ય વ્‍યવસ્‍થાકીય આદેશો-સુધારા એના સ્‍પષ્‍ટ પુરાવા છે.
આપનું કથન છે કે ચાર વાતો મારી જેમ અન્‍યોને પ્રાપ્‍ત નથી થઇ.
દાનવીરતા,
બહાદૂરી ,
પૌરૂષત્વ અને
શક્તિ.
કોઇ વિશે જ્યારે કોઇ અણગમાની વાત પહોંચતી તો એનું નામ લઇ એમ ન કહેતા કે ફલાણાને શું થઇ ગયું ?
બલકે એમ કહેતા કે લોકોને શું થઇ ગયું છે કે તેઓ આવું કરે છે ?
સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ

વિવેક

મેહફિલમાં કદી પગ પસારી બેસતા બેસતા નહિં. જે મળે તેને સલામ કરવામાં પહેલ કરતા. મુસાફહા ( હસ્‍તધનુન) માટે પ્રથમ હાથ લંબાવતા.
કદી કોઇની વાત કાપતા નહિં.
કદી રાત્રે ઘરમાં આવવાનું થતું તો એવી રીતે સલામ કરતા કે જાગૃત સાંભળી લે અને ઊંઘનારને ખલેલ ન પડે. પોતાના સેવક - ખાદિમથી પણ તેની જરૂરતો વિશે પૃચ્‍છા કરતા રહેતા. હઝરત જાબિર (રદિ.) ફરમાવે છે કે આપ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ હમેંશા સાથીઓની પાછળ ચાલતા. નફલ નમાઝ દરમિયાન કોઇ નજીક આવી બેસતું તો નમાઝ ટુંકાવી એની વાત સાંભળતા અને જરૂરત સંતોષતા.
હાસ્‍ય વિનોદ

કદી ખિલખિલાટ હસતા ન હતા. મુસ્‍કાન જ આપનું હાસ્‍ય હતું. તહજ્જુદની નમાજમાં ઘણી વાર રડી પડતા.
વફાદાર દોસ્‍તના અવસાન સમયે પણ આંખોમાં અશ્રુ તરસ આવતા.
આપના પુત્ર હઝરત ઇબ્રાહીમ (રદિ.) દૂધ પીવાની ઉમરે જ અવસાન પામ્‍યા, જ્યારે એમને કબરમાં ઉતાર્યા તો આંખો ભરાઇ આવી. ફરમાવ્‍યું , આંખોમાં અશ્રુ છે , દિલ મહી ગમ છે, પરંતુ પરવરદિગારને પસંદ હોય એવી વાત કહીશ, ઇબ્રાહીમ ! મને તમારા અવસાનથી રંજ થયો.
એક વાર હઝરત અબ્‍દુલ્‍લાહ બિન મસ્‍ઉદ (રદિ.) આપને કુર્આન સંભાળાવી રહ્યા હતા. પઢતાં પઢતાં તેઓ જયારે એક આયત પર પહોંચ્‍યા તો આપે ફરમાવ્‍યું , બસ , ઉભા રહો, તેમણે આંખ ઉઠાવી જોયું તો આપની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ

ખોરાક

આપ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ સરકો , મધ , હલ્‍વો , ઝૈતુનનું તેલ અને દૂધ વિશષ પસંદ ફરમાવતા હતા. એક વાર આપના નવાસા હઝરત હસન અને પિત્રાઇ ભાઇ હઝરત અબ્‍દુલ્‍લાહ બિન અબ્‍બાસ (રદિ.) આપના પુનિત પત્નિ હઝરત ઉમ્‍મે સલ્‍મહ (રદિ.) પાસે ગયા અને અરજ કરી કે આજે અમને રસૂલુલ્‍લાહ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમને ગમતું ખાણું ખવડાવો. તેમણે કહ્યું કે ભલા લોકો તમને એ ખાણું કેવી રીતે ભાવશે ? છતાં એમના આગ્રહને વશ થઇ જુવાર દળી હાંડી ચૂલા પર મૂકી દીધી. ઉપરથી ઝૈતુનનું તેલ , જીરૂ , મરી નાંખ્‍યાં, રાંધીને લોકો સમક્ષ મૂક્યું અને કહ્યું કે આ ખાણું આપ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમને અતિપ્રિય હતું.
સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ
લિબાસ

ચાદર,ખમીસ, અને લુંગી આપનું સામાન્‍ય પહેરણ હતું, પાયજામાનો તે સમયે અરબસ્‍તાનમાં રિવાજ ન હતો , માટે આપે તે પહેર્યો નથી, પણ એક વાર જોવામાં આવ્યો તો તેની સરાહના કરી . યમની ચાદર આપને વિશેષ પસંદ હતી.
પાઘડી પહેરતા, વધુ પડતી કાળા રંગની. નીચે માથાને ચોંટી રહે એવી ટોપી પહેરતા.
પાથરણું ચામડાનું ગાદલું , જેમાં રૂના સ્‍થાને ખજૂરના પાંદડાઓ ભરવામાં આવતાં. સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ
સફાઇ


સફાઇ સ્‍વચ્‍છતા આપનો પ્રિય ગુણ હતો. કોઇને મેલા ગંદા કપડાંમાં જોતા તો એને સ્‍વચ્‍છતાની તાકીદ કરતા.
એકવાર જુમ્‍આના દિવસે આપ મસ્જિદમાં પધાર્યા , કામ કાજ કરનારા આપના અનુયાયીઓ ખેતરે વગેરેથી મેલાં કપડે જ મસ્જિદમાં આવ્‍યા હતા. ગરમીના દિવસો હતા. પસીનો થયો તો મસ્જિદમાં પસીનાની દુર્ગંધ પ્રસરવા લાગી. આપ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમે ફરમાવ્‍યું , ન્‍હાયને આવવું સારૂં છે. અને તે દિવસથી જ જુમ્‍અહના દિવસે નહાવું શરીઅતનો આદેશ બની ગયો.
મસ્જિદની ભીંત પર કે જમીન પર થુંકવું આપને પસંદ ન હતું. જો કોઇ એમ કરતું તો સ્‍વંય લાકડી વડે તેને સાફ કરી દેતા. એક વાર ભીત પર થૂંક જોયું તો ક્રોધથી રાતા પીળા થઇ ગયા , જ્યારે એક અન્‍સારી ઓરતે એને સાફ કરી ત્‍યાં ખુશ્‍બૂ લગાવી દીધી તો પછી ઘણાં જ પ્રસન્‍ન થયા.
એકવાર એક સહાબી (રદિ.) નમાઝ પઢાવી રહયા હતા. નમાઝમાં જ એમણે થૂંકયું , આપે જોયું તો ફરમાવ્‍યું કે આ માણસ હવેથી નમાઝ પઢાવશે નહિં.
દુર્ગંધ વાળી વસ્‍તુઓને આપ પસંદ કરતા ન હતા. કાચા પ્‍યાઝ ,લસણ , અને મૂળા ખાયને મસ્જિદમાં આવવાની મનાઇ હતી. આપનો આદેશ હતો કે ગાંડા માણસો પણ મસ્જિદમાં આવે નહિં.
અરબસ્‍તાનના ગામડિયા લોકો રસ્‍તામાં જ પેશાબ કરવા બેસી જતા. આપે એમને રોકયા . રસ્‍તા પર જ કે ઝાડ નીચે કે પાણી ભરેલા ખાડા ખાબોચિયા કે તલાવડીઓમાં પેશાબ કરવાથી પણ મનાઇ ફરમાવી.



Sunday, April 09, 2006

ઇસ્‍લામ અને ઇમાનનો અર્થ

અમુક ટેકનિકલ ખામીઓના કારણે અમે સુવાસને નવેસરથી શરૂ કરી રહ્યા છે. અમને અફસોસ છે કે પાછલા અંકો ફરીથી અત્રે મૂકાવાના કારણે વાચકોએ નવા લેખોની થોડી રાહ જોવી પડશે. અમારો પ્રયત્‍ન રહેશે કે વહેલી તકે પાછલા અંકો કવર કરી નવા લેખો રજૂ કરવામાં આવે. ઈન્‍શાઅલ્‍લાહ એક સપ્‍તાહમાં આ બધું થઇ જશે એવી આશા.
અમારી અમુક ટેકનિકલ ખામીઓ બદલ ઓટલો (તરકશ ડોટ કોમ)ના પંકજ ભાઇએ અમને ચેતવ્‍યા એ બદલ એમનો આભાર. એમણે એમના ‘ ઓટલો ‘ માં પણ સુવાસની લિંક આપી છે . અહિંયા અમે પણ એમની લિંક આપી છે, વાચકો ત્‍યાં જઇ ગુજરાતી બ્‍લોગની દુનિયામાં નવું શું થઇ રહ્યું છે એ જોઇ શકે છે.

ઇસ્‍લામ અને ઇમાનનો અર્થ

ઇસ્‍લામ શબ્‍દ અરબી મુળ ધાતુ સ – લ - મ (સલામ‍તી – રક્ષા ) પરથી બન્‍યો છે.· એ જ પ્રમાણે ઈમાન મુળ ધાતુ અ - મ - ન (અમન – શાંતિ ) પરથી બન્‍યો છે.· એટલે કે ઇસ્‍લામ સ્‍વીકારનાર અને ઇમાન લાવનાર માણાસ માટે અલ્‍લાહ તરફથી શાંતિ સલામતી ની બાંહેધરી આપવામાં આવે છે.· એક બીજી રીતે ઇસ્‍લામનો અર્થ છે : આજ્ઞાપાલન અને સમર્પણ . અને ઈમાન એટલે શ્રધ્ધા , આસ્‍થા અને એકરાર .· એટલે ઇસ્‍લામનો અર્થ થયો કે અલ્‍લાહને સમ‍ર્પતિ થઇ એનું સંપૂર્ણ રીતે આજ્ઞા પાલન કરવું. અને ઇમાનનો અર્થ થયો કે પોતાના સર્જનહાર , સ્‍વામી અને માલિકમાં યકીન – આસ્‍થા શ્રધ્ધા રાખી તેનો એકરાર કરવો.· પૂર્ણતહ: ઇમાનનો અર્થ છે : અલ્‍લાહને તેના સર્વગુણો , વિશેષતા, પૂર્ણતા અને સંપૂર્ણ શ્રધ્ધા સહિત સ્‍વીકારવું.· ત્‍યાર પશ્ચાત એના આદેશાનુસાર જીવન વિતાવવાનો નિર્ધાર કરી સ્‍વંયને એના આઘીન કરવું એ ઇસ્‍લામ.

કુર્આન શું છે ?

કુર્આન ઇશવાણી છે, તે વિશુધ્‍ધ છે, તેમાં એકેશ્વરવાદ ( તવહીદ) નો સંદેશ છે. અલ્‍લાહના હુકમો અને નિષેધો છે. માનવીના હકો અને ફરજો છે. નીતિમય જીવનના આદશેો છે. બોધવચનો છે.· પાપો અને દુષ્‍કર્મો કરવા પર ચેતવણી છે. અને સદકસ્‍મોના બદલાનું વર્ણન છે.· કુર્આનમાં ૧૧૪ પકરણો ( સૂરતો ) છે. ૬૬૬૬ પંક્તિઓ ( આયતો ) છે. દરેક સૂરતના જુદા જુદા શીર્ષકો છે. દરેક સૂરત બિસ્મિલ્‍લાહિર્રમાર્રહીમ થી શરૂ થાય છે. તેનો અર્થ છે ; શરૂ કરૂ છુ; અલ્‍લાહના નામથી ,જે મહા દયાળુ અને કૃપાળુ છે.· પહેલી સૂરત ફાતેહા છે. તેમાં અલ્‍લાહના વખાણ છે. અને પછી સીધા રસ્‍તે ચાલવા માટેની દુઆ યાચના છે.પૂરી સૂરએ ફાતેહાનો અનુવાદ નીચે પ્રમાણે છેઃહું બેહદ કૃપાળુ દયાળુ અલ્‍લાહના નામથી શરૂ કરૂં છું .સર્વ વખાણ અલ્‍લાહના માટે જ છે.તે સકળ સૃષ્ટિનો માલિક છે.તે ઘણો કૃપાળુ અને મહાન દયાળુ છે.તે કિયામત (હિસાબ)ના દિવસનો માલિક છે.હે અલ્‍લાહ અમે તારી જ બંદગી કરીએ છીએ.અને દરેક કાર્યમાં તારી જ મદદ માંગીએ છીએ.હે અલ્‍લાહ ! તું અમને સીધા માર્ગ ઉપર ચલાવ.· કુર્આન શુધ્‍ધ અરબી ભાષામાં છે. અને અનેક ભાષાઓમાં તેના અનુવાદો થયા છે. કુર્આનની શૈલી અર્ધ ગધ અને અર્ધ પધ જેવી છે. તે અલૌકિક , મધૂર અને લાવણ્‍યમય છે. તેમાં એક મીઠાશ છે. તેના પઠન ( પઢવા) થી હદયમાં એક અનોખા પકારનો આદરભાવ ઉત્‍પન્‍ન થાય છે.· ઇસ્‍લામ શિક્ષણના બે મુખ્‍ય આધારો કુર્આન અને સુન્‍ન્‍ત છે. કુર્આન એટલે અલ્‍લાહની વાણી. હદીસ એટલે પયગંબર મુહમ્‍મદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમની વાણી. કુર્આનના શબ્‍દો પણ અલ્‍લાહના છે. જયારે હદીસ પયગંબર સાહેબના શબ્‍દોમાં છે. ધર્મ બાબતે કોઇ પણ વાત તેમણે પોતાની મનેચ્‍છાથી કહી ન હતી. બલકે જે કાંઇ અલ્‍લાહે દર્શાવ્‍યું તે જ કહયું. હદીસ કુર્આનનું સ્‍પષ્‍ટીકર અને અનુમોદન કરે છે.· કુર્આનનો હુકમ છે કે અલ્‍લાહની તાબેદારી કરો. અને તેના પયગંબરની વાત માનો.

ઇસ્‍લામના પાંચ ફરજો

1, ઈમાન ,એટલે કે અલ્‍લાહ એક છે. અને હઝરત મુહમ્‍મદ પયગંબર સાહેબ અલ્‍લાહના રસૂલ છે , વાતને સાચી સમજી સ્‍વીકારવી.
2 , નમાઝ .દિવસમાં પાંચ વાર અલ્‍લાહની બંદગી કરવા માટે જરૂરી ઠેરવવામાં અાવેલ ઇબાદતની પ્રકિયાને નમાઝ કહેવામાં આવે છે.
3 , રોઝાએટલે કે ઉપવાસ. સવારે પ્હો ફાટવા ( સુબ્‍હે સાદિક ) થી લઇ સાંજે સુર્યાસ્‍ત સુધી અન્‍ન , પાણી અને સ્‍ત્રી સહવાસથી દૂર રહેવાને ઇસ્‍લામની પરિભાષામાં રોઝો કહે છે.
4 , ઝકાત .એટલે કે એક નકકી માત્રામાં માલ સંપ‍ત્તિ હોવા ઉપર નકકી માત્રામાં થોડો માલ ( ચાલીસમો ભાગ ) ગરીબોને આપવો .
5 , હજ .જે માણસ મકકા શહેર સુધી આવવા જવા અને તે દરમિયાન પોતાના અને ઘરના માણસોને ખર્ચ ભોગવવાની શક્તિ ધરાવતો હોય તેણે મકકા જઇ હજ અદા કરવી .