Wednesday, May 22, 2013

મુસ્લિમ રાજાઓની સલતનત.. ઇસ્લામી સલતનત કે મુસલમાન સલતનત

મુસ્લિમ રાજાઓની સલતનત..
ઇસ્લામી સલતનત કે મુસલમાન સલતનત
ઇસ્લામના પ્રારંભિક દોર (ખિલાફતે રાશેદહ)ના ખતમ થયા બાદ મુસલમાનોની રાજવ્યવસ્થા ઇસ્લામની પકડમાંથી મુકત થઈ ગઈ હતી, એ એક વાસ્તવિકતા છે. જે સિદ્ઘાંતો રાજવ્યવસ્થાના આધાર રૂપે ઇસ્લામે નકકી કર્યા હતા, તે ભુલાવી દેવામાં આવ્યા હતા. ખિલાફતે રાશેદહના સિદ્ઘાંતોથી ઘણા દૂર હોવા છતાં ઉમવી અને અબ્બાસી ઇતિહાસને આમતોર પર ઇસ્લામી ઇતિહાસ કહેવામાં આવે છે. એટલા માટે કે એમના રાજકીય, સાંસ્કૃતિક અને સામાજીક જીવન ઉપર ઇસ્લામી અસરો વધુ પડતી દેખાતી હતી. ભારતના મુસલમાન રાજાઓના રાજકાજ, સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિ ઉપર પણ ઇસ્લામી પ્રભાવ સ્પષ્ટ હતો અને આ આધારે જ ઇતિહાસકારો એમની બાદશાહીને ઇસ્લામી સલ્તનત કહે છે.
પરંતુ વાસ્તવિકતા આ છે કે ત્યારથી લઈ આજ સુધી મસ્લિમ વિદ્વાનો આ બાદશાહોને ઇસ્લામના પ્રતિનિધી માનવા તૈયાર નથી. એમના ધાર્મિક અલકાબોને ફકત દેખાડવા-બતાવવાના સમજે છે. અને જે કોઈ સમકાલીન વિદ્વાને આ બાદશાહોના અલકાબો કે સેવાઓની પ્રસંશા કરી છે તેમને ચાપલૂસ, ખુશામદખોર અને દરબારી ઇતિહાસકારો ગણે છે. જયારે કે આવા જ વિદ્વાનો- ઇતિહાસકારોનો એક મોટો વર્ગ એવો પણ છે જે મુસલમાન રાજાઓ અને રાજપૂતોના યુદ્ઘોને એવા રંગમાં ઉલ્લેખે છે કે જાણે આ બધા જ યુધ્ધો કુફ્ર અને ઇસ્લામ વચ્ચેના યુદ્ઘો હોય. વર્તમાન યુગના ઇતિહાસકારો આવા જ વિદ્વાનોના લખાણનો આશરો લઈ આ મુસલમાન સત્તાધિશોની તલવારોને ઇસ્લામની તલવાર કહે છે. એમની બેરહમી, ખૂનામરકી અને ગેર મુસ્િલમો ઉપર કરવામાં આવેલા ઝુલ્મોને ઇસ્લામી આચાર વિચાર સમજે છે. જયારે કે આ બધું બન્ને તરફથી કોઈ પણ ધર્મના કોઈ ભેદભાવ વગર થતું હતું. મુસલમાનોના હાથે હિંદૂઓની જેમ મુસલમાનો પણ રંજાડવામાં આવતા હતા. અને બધા જ ઇતિહાસકારો સ્પષ્ટ કે અસ્પષ્ટ રીતે આ વાત માને છે કે ફકત યુદ્ઘ દરમ્યાન જ અતિરેક થતો, યુદ્ઘ પત્યા બાદ તો પ્રજા હોવાના નાતે હિંદુઓ અને મુસલમાનોને બરાબર જ સમજવામાં આવતા હતા.
સ્વયં આ બાદશાહોના જીવન ઉપર નજર કરવામાં આવે તો આપણને ભિન્ન પ્રકારની જાણકારી મળે છે. તેઓ ઇસ્લામી પ્રણાલિકાઓ વિરૂદ્ઘ સિંહાસન ઉપર બેસવા લડાઈઓ કરતા, ભાઈઓ પણ એક બીજાના ગળાં કાપતા અને પછી જયારે ગાદીનશીન થઈ જતા તો ઈસ્લામી પ્રણાલિકા મૂજબ અમીરો અને સરદારોથી વફાદરીનો શપથ (બયઅત) લેતા. સાથે જ પોતાને ધર્મ - દીનના મદદગાર કહેડાવવા કોઈ યોગ્ય લકબ પણ અપનાવતા. એટલે જ કોઈ દીનનો કુતુબ(કુત્બુદ્દીન), કોઈ દીનનો શમ્સ-સૂરજ(શમ્સુદ્દીન), કોઈ ગયાસ-મદદ (ગયાસુદ્દીન), કોઈ જલાલ (જલાલુદ્દીન) બની જતા.
સુલ્તાન શમ્સુદ્દીન અલ્તમશ પોતાના અંગત જીવનમાં અત્યંત ચુસ્ત અને ધાર્મિક હતો. ઈતિહાસકારો લખે છે કે તેને ઈબાદતની ઘણી જ લગન રહેતી, એક હસ્તપ્રતનું લખાણ નકલ કરતા પ્રોફેસર નિઝામી લખે છે કે તે પૂરી રાત જાગતો રહેતો, લોકો એને કદી સૂતો ન જોતા, હંમેશા ઇબાદતમાં મશ્ગુલ જોતા, કદી આંખ લાગી જતી તો એકદમ ગભરાઈને જાગી જતો, ઉઠીને સ્વંય પાણી  લઈ વુઝૂ કરી મુસલ્લા પર જઈ બેસતો, કોઈ ચાકરને જગાડતો સુદ્ઘાં નહિ, બલકે તેનું માનવું હતું કે જે લોકો આરામમાં છે, હું એમને શા માટે તકલીફ આપું.
આ જ અલ્તમશના દરબારની હાલત વર્ણવામાં આવે છે કે તે પછાત અને ઉચ્ચ, તુર્ક અને ગેર તુર્ક જેવી ગેરઇસ્લામી પ્રણાલિકા હંમેશા જરૂરી સમજતો. આ બધું એટલી હદ સુધી હતું કે અલ્તમશે પોતે દિલ્હીના શયખુલ ઇસ્લામ નિયુકત કરેલા બુઝુર્ગ સય્યિદ નુરૂદ્દીન મુબારક ગઝનવીએ દરબારમાં ખુલ્લે આમ કહેવું પડયું કે ’’બાદશાહ જે શાહી ઠાઠમાઠને જરૂરી સમજે છે, જે રીતે ખાય-પીએ છે, કપડાઓ પહેરે છે, રીતે ઉઠે-બેસે અને સવારી ઉપર સવાર થાય છે. જે પ્રમાણે ગાદી ઉપર બેસી લોકોને સામે બેસાડી સજદો કરાવે છે, ખુદાના નાફરમાન બંદાઓથી આત્મીય સંબધો ધરાવે છે, અને પોતાને બધી જ વાતોમાં સૌથી ઊંચો સમજે છે. આ બધું જ ગેરઇસ્લામી છે.˜
ગયાસુદ્દીન બલ્બન રાજગાદી પર બેસતાં પહેલાં ઇસ્લામ સાથેનો પોતાનો સંબધ સાબિત કરવા પોતાના બેટાઓના નામ મુહમ્મદ અને મહમૂદ રાખે છે. પરંતુ રાજગાદીએ બેસ્યા પછી પોત્રોના નામ કેકબાદ, કૈખુસરો, કૈકાઉસ, કૈમરસ રાખી પોતાના ઈરાની હોવા ઉપર ગર્વ અનુભવવા લાગે છે.
ફીરોઝશાહ તઘલખ અલાઉદ્દીન ખીલજીએ પ્રચલિત કરેલ સરકારી બાગી વિદ્રોહીના પુરા ઘરને સજા આપવાની સજાની પ્રથાને પોતે ખતમ કરી હોવાની વાત ઘણા જ ગર્વથી લખી પોતાને ન્યાયપિ્રય મુસલમાન બતાવે છે, પણ બીજી તરફ વ્યકિતગત જીવનમાં તે દારૂની લત છોડવા તૈયાર નથી.
અબ્બાસી ખલીફા હારૂન રશીદ એની ખૂબીઓ, ન્યાયપિ્રયતા, પ્રજાલક્ષી સેવાકાયર્ો અને વ્યકિતગત નેકી તકવામાં અત્યંત મશ્હૂર બાદશાહ છે. ઇમામ અબૂ હનીફહ રહ.ના વિશેષ શાગિર્દ ઇમામ અબૂયૂસુફ રહ. એના દરબારમાં હાજર રહેતા હતા અને કાઝીયુલ કુઝાત (ચીફ જસ્ટીસ) હતા. એના વિશે પણ આવે છે કે બયતુલ માલ અને સરકારી ખઝાનાને છુટા હાથે વહેંચવામાં સ્વતંત્ર હતો. ઇતિહાસકારોએ એના રાત્રિના મોજશોખ અને રંગીના રાતોનું વર્ણન પણ કર્યું છે. અમુક ઇતિહાસકારો શરાબ પીવાનું પણ વર્ણન કરે છે. જેને બીજા અમુક ઇતિહાસકારો ખોટું પણ બતાવે છે. એના ખિલાફતકાળની પ્રગતિઓમાં રાગ - સંગીતની પ્રગતિનો વિશેષ્ા ઉલ્લેખ કરવામાં આવે છે.
સુફિયાન ષોરી હારૂન રશીદના બચપનના દોસ્ત હતા. હારૂન રશીદ ખલીફા બન્યો તો સુફિયન એને મળવા સુદ્ઘાં ગયા નહી. હારૂન રશીદે એમને સામે ચાલીને પત્ર લખીને દરબારમાં આવવાનું આમંત્રણ આપ્યું કે મને મળવા આવનાર દરેક દોસ્તને મેં કીમતી તોહફા આપ્યા છે. તમારે પણ પધારવું જોઈએ. જવાબમાં સુફિયાન રહ.એ લખ્યું કે તમે પોતે માનો છો કે બયતુલ માલને અયોગ્ય રીતે વાપરો છો અને પાછા મને એનો ગવાહ બનાવવા માંગો છો ? વિચાર કરો, ખુદાને શો જવાબ આપશો ? સિંહાસન ઉપર બેસો છો, દરવાઝે ચોકીદાર રાખો છો, તમારા અધિકારીઓ પોતે દારૂ પીએ છે અને બીજાઓને દારૂ પીવાની સજા આપે છે, પોતે ઝીના કરે છે અને બીજાઓના ચોરી કરવા બદલ હાથ કાપે છે. કયામતના દિવસે તું આ બધાની આગળ અને તારા આ અધિકારીઓ તારી પાછળ હશે.
એક બે ઉદાહરણો આપી કહેવા માંગુ છું કે જેમ આજકાલ સિકકાની બે બાજુઓ હોય છે, અને બન્ને સાચી હોય છે. એવો જ હાલ આ બાદશાહોનો છે. પેહલી બાજુ એ છે કે આ બાદશાહોએ સંપૂર્ણ પણે અથવા તો આંશિક રીતે એવા દેશ ઉપર રાજ કરવાનું હતું, જયાંની બહુમતી વસ્તી તેમની સહધર્મી ન હોય. ભારતના અનુસંધાનમાં જોઈએ તો જો તેઓ ઉતાવળે સંપૂર્ણ ઇસ્લામી હુકૂમત સ્થાપવાની કોશીશ કરત તો તે લાંબી ન ચાલી શકત એ નકકી છે. અને એટલે જ શમસુદ્દીન અલ્તમશને મુસલમાન વિદ્વાનોની જમાઅતે જયારે કહયું કે ભારતના હિંદુઓનો ’યા તો ઈસ્લામ યા કતલ˜ ની રીતે ફેસલો કરવો જોઈએ. તો પોતાના વઝીર મા'રફતે જવાબ આપ્યો કે આપણી પાસે હજૂ સુધી આટલી બધી તલવારો નથી.
પરંતુ સાચે જ આ બાદશાહો તે ધર્મને બિલ્કુલ તરછોડી પણ શકતા ન હતા, જેના નામ ઉપર તેઓ રાજ કરતા હતા.
સિકકાની બીજી બાજુ રજૂ કરનાર એક વર્ગનું માનવું છે કે ભારતના મુસલમાન બાદશાહો લડાઈ-સુલેહ, ગનીમતનો માલ, ટેક્ષા અને બીજી આવકો તેમજ અન્ય ઘણી બાબતોમાં ઇસ્લામી સિદ્ઘાંતોના પાબંદ નથી રહયા. અમારા મતે વાત બન્નેની સાચી છે. ઈતિહાસનો અભ્યાસ કરનારને આ બન્ને વાતો જુદી રાખી ચાલવાનું છે.
અહિંયા પ્રોફેસર ખલીક અહમદની વાત ઘણી જ ઉપયોગી થઈ પડે એમ છે. તેઓ લખે છે કે :
જયારે મુસલમાન બાદશાહોના આચાર-વિચાર અને આચરણનો પ્રશ્ન આવે છે તો કુદરતી તોર પર બે માપદંડો આપણી સામે આવે છે. એક ઇસ્લામના તે સિદ્ઘાંતોનું માપદંડ જેના ઉપર રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને ખુલફાએ રાશિદીન કાર્યબધ્ધ રહયા, જેના ઉપર સમયના વહાણો તો વહી ગયા હતા, પરંતુ મુસલમાનોના ધામર્િક અને રાજકીય માનસમાં તેની મહત્વતા હજુ પણ અકબંધ હતી. શાહ વલીયુલ્લાહ (રહ.)ના કહેવા મુજબ રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને ખુલફાએ રાશિદીનની ખિલાફત ઇસ્લામના બુનિયાદી સિદ્ઘાંતોમાંથી ગણાશે અને કોઈ પણ બાદશાહ જયાં સુધી આ પાયાને મજબૂતીથી ન પકડે, શરીઅતની કોઈ વાતની ગેરંટી ન આપી શકાય.
બીજું માપદંડ છે : આ બાદશાહોના સમયકાળમાં પ્રચલિત સંસ્કારો અને સામાજીક વિચારધારાનું
પહેલી આંખે જયારે બાદશાહોના વિચાર અને આચાર પર નજર કરવામાં આવે છે તો તેમાં સેંકડો ખામીઓ આંખ સામે આવે છે.અને તેમના જીવનના ઘણા પાસાં ધિકકારપાત્ર અને વખોડવાપાત્ર જણાય છે.
પરંતુ જયારે તે સમયના પ્રચલિત રાજકીય માહોલના આયનામાં જોઈ એમની સમીક્ષાા કરવામાં આવે છે તો એમનંુ એક જૂદું જ ચિત્ર આપણી સામે ઉપસે છે. એક એવા દૌરમાં જયારે હિંદુસ્તાન ભેદભાવ અને જાત-પાતના વિખવાદોમાં ફસાયેલ હતંુ અને દરેક શહેર ભેદભાવની એક જૂદી નિશાની બની ચુકયું હતું. આ બાદશાહોએ આવીન, દેશમાં એક પરિવર્તન લાવી દીધું. જે શહેરોમાં કદી નીચલી જ્ઞાતિઓને આઝાદીથી હરવું ફરવું પણ નસીબ થતું ન હતું, સૂરજ આથમ્યા બાદ જયાં તેઓ પગ પણ મુકી શકતા ન હતા, એવા માહોલમાં ઊંચા મહેલોની આસપાસ હવે એમના ઝુ્ંપડાઓ પણ દેખાવા લાગ્યા. જયાં સજા અને દંડનો કાયદો દરેક વર્ગ માટે જૂદો હતો ત્યાં તેમણે કાનૂની એકતા સ્થાપી નાના મોટાની બધી વિશેષતાઓ ભૂંસી નાંખી.
આ બન્ને તસ્વીરો જુદા જુદા બેકગ્રાઉન્ડ પ્રમાણે બને છે. અને ઇતિહાસકાર માટે બન્નેમાં રહેલો ભેદ સામે રાખવો જરૂરી છે. તસ્વીરની એક બાજુ ઇસ્લામી ઇતિહાસમાં આ બાદશાહોની જગ્યા બતાવે છે તો બીજી બાજુથી વિશ્વ ઇતિહાસમાં એમનું સ્થાન સ્પષ્ટ થાય છે.

Saturday, May 04, 2013

સૃષ્ટિના વરરાજો માનવી એના સર્જનહારને ઓળખે...

રંગબેરંગી આ સૃષ્ટિના વરરાજા - દુલ્હો 'ઇન્સાન' સૃષ્ટિના સર્જનહારનું સૌથી શ્રેષ્ઠ અને અનુપમ સર્જન છે. પોતાના આ સર્જનને સૃષ્ટિમાં જીવવા, મહાલવા, રહેવા - ફરવાની જે મહેતલ આપી છે, એ મહેતલની મુદ્દત પૂરી કરવા જે કંઈ સરંજામ અને સવલતો અલ્લાહ તઆલાએ એની ચારે તરફ ફેલાવી છે, એ બધા ઉપર વિચાર કરીએ છીએ તો અલ્લાહ તઆલાના અસ્તિત્વ અને કુદરતનું યકીન થઈને જ રહે છે. અલ્લાહ તઆલા આ માટે જ ફરમાવે છે કે, અમે તમારા માંહે જ નિશાનીઓ મૂકી છે, તમને એ દેખાતી નથી ?
માણસ પોતાના અસ્તિત્વથી નજર હટાવીને આસપાસ દષ્ટિ કરે તો સૂર્ય, ચંદ્ર, હવા, પાણી, આકાશ અને તારા, જમીન અને જનાવર, કુદરતના આ બધા અદ્વિતીય સર્જનો એવી રીતે 'ઇન્સાન'ની સેવા ચાકરીમાં મંડયા રહે છે, જાણે બિચારા એ ગરજવાનોનું કોઈ મહત્વનું કામ 'ઇન્સાન' પાસે અટવાય પડયું હોય.
સળગતો સૂરજ, ઉજળો ચાંદ, ચમકતા તારા, ઉછળતા દરિયા, વહેતા પાણી, ફૂંકાતા પવન, લહેરાતી હવા, ખીલતા ફૂલ, પાકતા ફળો, અને હરતા ફરતા જનાવરો... બધું 'ઇન્સાન' માટે જ પેદા કરવામાં આવ્યું છે. જાણે આપણે ઇન્સાનો કોઈ રજવાડાના રાજા અને સલતનતના શહેનશાહ હોય અને આ બધા આપણા દાસ - દાસીઓ...
વાસ્તવમાં છે પણ આવું જ.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે કે આ દુનિયા તમારા માટે જ પેદા કરવામાં આવી છે. અને તમે આખિરત માટે.
અલબત્ત આ બધી વસ્તુઓને પરવરદિગારે આપણી સેવામાં લગાવી દીધી છે. આપણો કોઈ અધિકાર એમના ઉપર નથી.
માટે વિચારવાની વાત એ છે ફકત પરવરદિગારના આદેશને આધીન થઈને આ બધા સર્જનો આપણી સેવા માટે મંડી પડયા હોય તો પછી આપણે પરવરદિગારના આદેશને કેટલો અનુસરીએ છીએ ?
એની સવલતોને આપણે ભોગવીએ પણ એના આદેશો ન માનીએ, એ કયાંનો ન્યાય કહેવાય ?
ઘોડાનો માલિક ઘોડાને ફકત ચારો જ ખવડાવે છે, પણ બદલામાં ઘોડો એના માટે એના પ્રાણ ખપાવી દે છે. પણ 'ઇન્સાન' છે કે ખુદાની વફાદારીને સૌથી છેલ્લી વસ્તુ સમજે છે. અને આ બધું ફકત માલની મહોબ્બત ખાતર જ...
દુનિયામાં કોઈ કંપની કે ઓફિસનો વડો ગુસ્સે થઈ જાય છે તો કર્મચારી હાથ બાંધીને એની સામે ઉભો થઈ જાય છે... પણ કુદરતનો હુકમ 'ઇન્સાન'ને અનેક વાર ગંભીર ચેતવણીઓ આપી ચુકયો છે, છતાં ઇન્સાનને એની કોઈ પરવા જ નથી.
અલ્લાહ તઆલા વારંવાર કહે છે કે હું તમારી પાસે માલ દોલત નથી માંગતો, એ તો હું તમને આપું છું, તમે ફકત મારી ઇબાદત કરો, મારા આદેશો માનો, મારા કહયા પ્રમાણે ચાલો....
ગાય 'ઇન્સાન'ને દૂધ આપે છે તો ઇન્સાને એને માતા બનાવીને પૂજા શરૂ કરી દીધી. વતનની માટી રહેવાની જગ્યા આપે છે તો માણસ એના માટે મરી ફીટે છે. પણ અલ્લાહ તઆલાને ઇન્સાનથી ફરિયાદ છે કે, અરે ઇન્સાન, ગાયના શરીરમાંથી છાણ અને લોહી વચ્ચેથી ધોળું, સ્વચ્છ, સ્વાદિષ્ટ દૂધ તો હું આપું છું, અને મને જ ભૂલી ગયો છે ?
બાળકને નવડાવીને, સારા કપડાં પહેરાવીને, ખવડાવીને, રમાડીને... માં પૂછે છે : બેટા તું કોનો છોકરો ? બાળક સહજ રીતે જ કહે છે : અમ્માનો.. બસ.. આટલું સાંભળતા તો માં એને ફરી પાછો પાસે ખેંચીને ચૂમીઓથી નવડાવી દે છે, ખાવા, પીવા, પાલન પોષણ વગેરેની જવાબદારીઓ ઉપરાંત બાળકની ગંદકી સાફ કરવાની જવાબદારી પણ માં નિભાવે છે.
કયાંથી આવ્યો આટલો બધો પ્યાર માંના દિલમાં ?
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ કયાંક સફરમાં જઈ રહયા હતા. એવામાં એક સ્ત્રીનું બાળક ખોવાય ગયું ? બિચારી માં પાગલ બનીને આમથી તેમ એને શોધતી હતી, ઘણા સમય પછી જયારે મળી આવ્યું તો દોડીને બાળકને ભીંસમાં લીધું અને ચુમીઓનો વરસાદ વરસાવી દીધો. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ આ બધું જોઈ રહયા હતા, ફરમાવ્યું કે, આ બધું તમે જુઓ છો ને, યાદ રાખો, તમારો રબ તમારી સાથે આથી પણ વધારે મહોબ્બત કરે છે..
લોકો કહે છે, અમે સ્વીકારીએ છીએ કે આ દુનિયા, એના સુંદર દશ્યો, એની આરામદાયી સવલતો, લાભ અને નફાના સઘળા સાધનો, એશ - આરામનો બધો સરંજામ અલ્લાહ તઆલાએ જ બનાવ્યું છે, એની કુદરતની કમાલ છે, કોઈ માણસ કયાંથી બનાવી શકે, અને અમને એમાં કયાં ઇન્કાર છે ?
પણ... આ સ્વીકાર પછી પણ શું 'ઇન્સાન' એના એ મહાન ઉપકારકનો આભાર માનવા તૈયાર છે ? શુક્ર અદા કરે છે ? એના એહસાનને સ્વીકારીને એની તાબેદારી કરે છે ? તો જવાબ 'ના' છે.
જરા વિચારો
ઘરે કોઈ મહેમાન આવે, તમારા ઘરના ફર્નીચરના વખાણ કરે, એની બનાવટ, ગોઠવણીની તારીફ કરે. ઘરના બાંધકામ, તમારા પકવાનો, અને તમારા અખ્લાક - સંસ્કારના પણ પેટભરીને વખાણ કરે... પણ દસ્તરખાનું ભરપેટ જમણ કરીને પછી આભાર ન માને, શુક્રિયદ અદા ન કરે, તો એનો સઘળો બકવાસ શા કામનો ? એણે જે કરવાનું હતું તે જ નથી કયુ્ં.
બસ આ છે, 'ઇન્સાન'...
દુનિયાની વસ્તુઓની ફિલોસોફી, એના રહસ્યો, હિકમતો વિશે ખૂબ ચર્ચા કરશે, છેલ્લે ઘણા અહોભાવથી અલ્લાહનું નામ પણ લેશે.. પણ એની ફરમાબરદારી નહીં.
અને આજે આ બાબત સર્વસામાન્ય છે. પોતાના નોલેજ, જ્ઞાન, અનુભવની છાપ પાડવા લોકો મજલિસમાં બોલવાનું શરૂ કરે છે તો એવુ્ં લાગે છે કુદરતને અને કુદરતના સર્જનહારને આ માણસે સારી રીતે ઓળખી લીધાં છે...
પણ અમલની વાત આવે છે તો આવા માણસો 'બેદીન' પુરવાર થાય છે, એના કરતાં તો એક જાહિલ માણસ સારો, જે રોજ મજૂરી કરીને દિવસની પાંચ નમાઝો પઢવાને પોતાની મેઅરાજ સમજે છે. અને પરવરદિગાર પાસે મગફિરતનું યકીન રાખે છે...