Monday, September 02, 2013

મિસરનો લશ્કરી બળવો અને રાજાઓની રાજરમત

મિસરનો લશ્કરી બળવો અને રાજાઓની રાજરમત
મિસરમાં હોસ્ની મુબારકના ઇમરજન્સી શાસનના અંત પછી લોકશાહી રીતે ચુંટાયેલ સરકારનું એક જ વરસ પુરું થયું હતું કે લશ્કરે એક બહાના હેઠળ લોકશાહી સરકારને ઉઠલાવીને ફરીથી લશ્કરી શાસન લાદી દીધું છે. રાષ્ટ્રપતિ મુહમ્મદ મુરસીને અજ્ઞાત સ્થળે કેદ કરીને અનેક નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. ચુંટાયેલ સરકાર મવાળવાદી મુસ્લિમ સંગઠન 'મુસ્લિમ બ્રધરહુડ'ની રાજકીય પાંખની બહુમતી વાળી હતી એટલે આ બળવાને મુસ્લિમ જગતમાં પ્રથમ દષ્ટિએ અમેરિકા, ઇઝરાયેલ અને યુરોપની ઇસ્લામ વિરોધી હરકતના સ્વરૂપે જોવામાં આવ્યો. અલબત્ત પાછળથી જે વાસ્તવિકતાઓ સામે આવી એ જોતાં લાગે છે કે ષડયંત્રના મુળ ઘણાં ઊંડાં છે.
બળવો થતાં જ લોકશાહી સમર્થકો વિરોધ કરવા લાગ્યા. રેલીઓ અને ધરણાઓનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીઓ અને ધરણાઓનો વિસ્તાર વધવા લાગ્યો તો લશ્કર દ્વારા એને શકિત વડે ખતમ કરવામાં આવ્યાં અને ઇદ પછીના અઠવાડિયામાં લગભર હઝારથી વધારે સમર્થકોને સીધી ગોળીએ વીંધી નાંખવામાં આવ્યા અને મુસ્લિમ બ્રધરહુડના હઝારો સમર્થકોને જેલમાં ગોંધી દેવામાં આવ્યા.
લશ્કર દ્વારા સત્તા કબ્જે કરવાના તુરંત પછી સઉદી અરેબિયાના શાહ અબ્દુલ્લાહે નિવેદન આપ્યું કે લશ્કરે મિસરને બરબાદ થવાથી બચાવી લીધું. આરબ અમીરાતે પણ લશ્કરને ભરપૂર સમર્થન હોવાનું જાહેર કયું. આનાથી વિપરીત તુર્કીએ લશ્કરી બળવાનો ભરપૂર વિરોધ કર્યો.
આજે સ્થિતિ એ છે કે અમેરિકા અને યુરોપ મિસરની સહાય રોકવાની તૈયારી કરી રહયા છે તો સઉદી અરેબિયાએ જાહેરાત કરી છે કે એ બધી સહાયનો બદલો મિસરને અમે આપવા તૈયાર છીએ.
આ બધું જોતાં લાગે છે કે સઉદી એરેબિયાના રાજાને મિસરની લોકશાહી સરકારથી અથવા તો 'મુસ્લિમ બ્રધરહુડ'થી કોઈ ખતરો હતો, જેના લઈ સઉદી અરેબિયા અને અમીરાત દ્વારા આયોજન કરીને લશ્કર દ્વારા મુસ્લિમ બ્રધરહુડને ખતમ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે.
હરમૈન શરીફૈનની ખિદમતના નામે મુસલમાનોના નેતા બનેલા આ નેતાઓને વિશ્વમાં સાચી રીતે મુસલમાનો શકિતશાળી બને અને યુરોપ, યહૂદીઓ અને અમેરિકાના અત્યાચારો સામે અવાજ ઉઠાવે એમાં રસ નથી. એમને પોતાની સત્તા અને રાજગાદી છીનવાય જવાનો ખતરો છે. પાછલા દિવસોમાં ટયુનિશ, લિબીયા, મિસર, કુવૈત અને જોર્ડન વગેરે દેશોમાં કયાંક આંશિક રીતે તો કયાંક સંપૂર્ણ રીતે લોકશાહી રીતે શાહી ખાનદાનો પાસેથી રાજગાદી વિદાય લઈ રહી છે, એવામાં તેલની અઢળક દોલતની લાલચ આવા લોકોથી કેવી રીતે છુટે ?
ઉપરાંત તુર્કીની વર્તમાન સરકાર જે રીતે મક્કમ રીતે ઇસ્લામી પ્રણાલીને અપનાવીને આગળ વધી રહી છે એ જોતાં મુસ્લિમ વિશ્વનું નેતૃત્વ કરવા એ સક્ષામ નજર આવી રહી છે. મિસરની મુરસી સરકારે પણ તુર્કી સાથે મજબૂત સંબંધો શરૂ કરી દીધા હતા અને બંને સંયુકત રીતે ઇઝરાયેલને ઘેરવાના પ્રયત્નો કરી રહયા હતા. પેલેસ્ટાઈનની હમાસની સરકારને ગાઝહપટીમાં પૂર્ણ સમર્થન આપી રહયા હતા. ઇઝરાયેલના હુમલા વેળા મુરસી પોતે સહાય લઈને ગાઝહપટીમાં ગયા હતા. આવી સ્થિતિમાં તુર્કી અને મિસરના હાથમાં મુસ્લિમ વિશ્વનું નેતૃત્વ સરકતું જોઈને સઉદીયા બે ત્રણ વરસથી ધમપછાડા કરી રહયું છે. ભારત અને વિશ્વના મુસ્લિમ બહુલ દેશોમાં સઉદી ઉલમા, હરમૈનના ઇમામો મોકલીને મુસ્િલમ પ્રજાને હરમૈનના બહાને સઉદી રાજા સાથે અકીદત અને શ્રધ્ધા સાથે જોડી રાખવા મથી રહયું છે.
હજ ઉમરહની સેવા કરવામાં પણ કમાણી કરતા આ રાજાઓ પાસે ખાદિમુલ હરમૈનના ઇલ્કાબ સિવાય એવી કઈ વસ્તુ છે જેના લઈ તેઓ મુસ્લિમ વિશ્વના નેતા હોવાના ભરમમાં રાચે છે ? આ રાજાઓને ખબર હોવી જોઈએ કે આવા ધમપછાડાઓથી સત્તા સચવાતી નથી. સત્તા સાચવવા માટે સાચી સેવા કરવી પડે છે. હઝારોના લોહી વહાવીને મુસલમાનોના હમદદર્ોને ખતમ કરવાથી એમની ગાદી કદાચ થોડા સમય માટે સલામત રહી શકે છે, પણ કુદરતનું કાળચક્ર આવતી કાલે એમનાથી બદલો લેશે ત્યારે એમને ખબર પડશે.

No comments:

Post a Comment