Monday, May 29, 2006

નમાઝ માટેની પૂર્વ શરતો


ઇસ્લામમાં સૌથી મહત્વની ઇબાદત ગણાય છે, કુર્આન માં અનેક વાર સ્પષ્ટ શબ્દોમાં નમાઝ પઢવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુવાસમાં અગાઉ પણ નમાઝ વિશે માહિતી આપવામાં આવી ચૂકી છે.
નમાઝ માટે પૂર્વ તૈયારી રૂપે અમૂક ચીજો જરૂરી છે.
(૧) જે સ્થળે નમાઝ પઢવામાં આવી રહી છે, તે પાક-સ્વચ્છ હોય, એટલે કે ત્યાં મળ મુત્ર કે અન્ય ગંદકી ન હોય.
(૨) માણસનું શરીર ચોખ્‍ખું – સ્‍વચ્‍છ હોય. અહિંયા પાક ચોખ્‍ખા હોવાનો મતલબ એ છે કે શરીઅતના આદેશ પ્રમાણે જો જરૂરત હોય તો નહાઈ લેવામાં આવે. ( પત્ની સાથે સંભોગ કર્યા પછી કે સ્વપ્ન દોષ પછી નાહવું શરીઅત પ્રમાણે જરૂરી છે. તે વગર માણસ નાપાક ગણાય છે. )અને નાહવાની જરૂરત નથી તો વુઝૂ કરવામાં આવે. (કોગળો કરવા, હાથ, મોં, પગ ધોવા વગેરેને વુઝૂ કહેવામાં આવે છે. આ વિશે બીજી કોઇ વખત વિગતે જણાવવામાં આવશે, ઇન્‍શાઅલ્‍લાહ.)
(૩) કપડાં પાક – સ્‍વચ્‍છ હોય. એટલે કે તેના પર કોઇ નાપાકી, મળ – મુત્ર , લોહી વગેરેની ન હોય. ( કપડાં, પાણી વગેરેના શરીઅતના ધારા ધોરણ મુજબ પાક સ્‍વચ્‍છ હોવા વિશેનું એક સ્વતંત્ર પ્રકરણ અત્રે પાછળથી લખવામાં આવશે. ઇન્‍શાઅલ્‍લાહ.
(૪) કિબ્‍લા તરફ મોઢું કરવું, ( કિબ્‍લા એટલે મક્કા શહેર પવિત્ર મસ્જિદ ના મધ્યે આવેલ એક વિશેષ સ્થળ ), ભારતવાસીઓ માટે એ પશ્ચિમ દિશાએ પડે છે.
(પ) નમાઝનો સમય હોવો, શરીઅત તરફથી પાંચેવ નમાઝોનો સમય નક્કી છે, જે તે નમાઝ માટે એનો સમય હોવો જરૂરી છે, એ સિવાય જો માણસ વધારાની ( નફલ) નમાઝ વધુ ઇબાદત રૂપે પઢવા માંગતો હોય અથવા કોઇ છૂટેલી નમાઝ પઢવા માંગતો હોય તો શરીઅત તરફથી મના કરવામાં આવેલ સમયો ન હોય એની ખાતરી કરી લે.
(૬) નિય્‍યત કરવી, એટલે કે નમાઝ શરૂ કરતાં પહેલાં એ બાબતનું ધ્‍યાન ધરવું કે હું અલ્‍લાહના આદેશાનુસાર ફલાણી નમાઝ પઢી રહ્યો છું.
આ છ બાબતોને નમાઝના બહારના ફરજો કહેવામાં આવે છે, બહારના એટલે નમાઝ રૂપી ઇબાદત શરૂ કરતાં પહેલાંની આવશ્‍યક બાબતો.

No comments:

Post a Comment