Sunday, April 27, 2014

કુરઆને કરીમ અને આસમાની કિતાબો, ઇસ્લામી અકીદા અને સામાન્ય જાણકારી

વિવિધ કાળે અલ્લાહ તઆલા તરફથી મોકલવામાં આવેલ નબીઓને અલ્લાહ તઆલા તરફથી કિતાબો આપવામાં હતી. સામાન્ય પણે એને 'આસમાની કિતાબો' કહેવામાં આવે છે. આ કિતાબો એટલે કે લોકો માટે અલ્લાહ તઆલાના આદેશો, હુકમો, માર્ગદર્શનો વગેરેનો સંગ્રહ. આવી કિતાબો કોઈ નબીને એક સામટી આદેશોના સંગ્રહ સ્વરૂપે આપવામાં આવી તો કોઈ નબીને જરૂરત મુજબ સમયાંતરે કિતાબના આદેશોથી વાકેફ કરવામાં આવ્યા. અને એ બધા આદેશોને 'કિતાબ' સ્વરૂપે રક્ષિાત રાખવાનો આદેશ આપવામાં આવ્યો. અલબત્ત અલ્લાહ તઆલાના દરબારમાં એ બધી જ કિતાબો પહેલેથી જ પૂર્ણ સ્વરૂપે મોજૂદ હતી અને છે.
આવી કેટલી કિતાબો, કયા કયા નબીઓને આપવામાં આવી, એની પૂર્ણ વિગત કોઈને ખબર નથી. પણ ચાર કિતાબો મશ્હૂર છે. જે અલગ અલગ નબીઓને આપવામાં આવી હતી. 
(૧) તવરાત. હઝરત મૂસા અલૈ. ઉપર નાઝિલ થઈ હતી. એની ભાષા ઇબરાની હતી. 
(ર) ઝબૂર. હઝરત દાઉદ અલૈ. ઉપર નાઝિલ થઈ હતી. ભાષા સુરયાની હતી. 
(૩) ઇન્જીલ હઝરત ઈસા અલૈ. ઉપર નાઝિલ થઈ હતી. ભાષા ઇબરાની હતી. 
(૪) કુરઆન મજીદ. સય્યિદના નબીએ કરીમ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર અરબી ભાષામાં ઉતારવામાં આવ્યું. 
આ કિતાબો ઉપરાંત અન્ય અમુક નબીઓને નાના મોટી કિતાબો આપવામાં આવી. જેનું વર્ણન કુરઆનમાં છે. હઝરત ઇબ્રાહીમ અલૈ. અને હઝરત મૂસા અલૈ.ને 'સહીફહ'  આપવામાં આવ્યા હોવાનું વર્ણન કુરઆનમાં છે. પણ આ બધાની વધુ વિગત કુર્આન - હદીસમાં દશર્ાવવામાં આવી નથી. કુરઆનથી જ આ પણ પુરવાર છે કે યહૂદીઓ અને ઈસાઈઓ પાસે મોજૂદ વર્તમાન તવરાત, ઇન્Òલ અને ઝબૂર (જેને આજકાલ તેઓ બાઇબલ Old testament & New testament કહે છે, તે અસલી સ્વરૂપમાં નથી. એમાં લોકોએ ફેરફાર કરી દીધો છે.
આજના યહૂદીઓ અને ઈસાઈઓ પણ આ વાત સ્વીકારે છે કે વર્તમાન બાઇબલમાં વાસ્તવમાં હઝરત મૂસા અલૈ. અને હઝરત ઈસા અલૈ.ને આપવામાં આવેલ અલ્લાહ તઆલાના હુકમો અને હિદાયતોને એમના અનુયાયીઓએ ભેગી કરી છે. અને એમાં અત્યાર સુધી અનેક સુધારા વધારા થયા છે. આવી સ્થિતિમાં આ કિતાબો વિશે એના 'આસમાની કિતાબ' હોવાના અકીદો રાખવો ખોટો છે. બલકે મુસલમાને એમ અકીદો રાખવો જરૂરી છે કે આવા (તવરાત, ઇન્જીલ, ઝબૂર) નામોની કિતાબો આગલા અંબિયા અલૈ. ઉપર નાઝિલ થઈ હતી. 
કુરઆન શરીફના નાઝિલ થવાથી આગલી આવી કિતાબોના આદેશો અને શરીઅતો કેન્સલ કરાર દેવામાં આવી છે અને એના સ્થાને કુરઆની આદેશો અને શરીઅત જ અલ્લાહ તઆલાના ખરો હુકમ ગણવામાં આવશે.
કુરઆન શરીફ મુજબ હવે શરીઅતે મુહમ્મદી કયામત સુધી બાકી રહેશે, એ રદબાતલ કે કેન્સલ થશે નહી. કુરઆન શરીફ અલ્લાહ તઆલાનું કલામ છે, માટે એ અલ્લાહ તઆલાની જેમ સદા રહેનારી વસ્તુ છે. કુરઆન અને હદીસથી જન્નતીઓનું જન્નતમાં કુરઆનની તિલાવત કરવાની વાત પણ સાબિત છે. અલબત્ત કયામત પૂર્વે છેલ્લી ઘડીઓમાં જયારે દુનિયામાં કોઈ મોમિન હશે નહી, અને ત્યારે કુરઆન દુનિયામાંથી ઉઠાવી લેવામાં આવશે, એટલે કે કુરઆન શરીફ લેખિત સ્વરૂપે, કે કોઈને કંઠસ્થ - હિફજ હોવાના સ્વરૂપે, અથવા જે કોઈ સ્વરૂપે હશે તે ખતમ થઈ જશે. હદીસ શરીફમાં છે કે એક રાત એવી આવશે કે સવારે કુરઆનના બધા અક્ષારો ખતમ, અને લોકોના દિમાગમાંથી બધું કુરઆન ભુલાઈ જશે અને કયામત કાયમ થશે - શરૂ થશે. (તબરાની, દારમી)
ઉલમા ઉપરોકત હદીસનો મતલબ દર્શાવતાં લખે છે કે આ વેળા દુનિયામાં કોઈ મોમિન હશે નહી, માટે કુરઆન ઉપર કોઈ અમલ કરનારંુ પણ ન હશે, અને અલ્લાહ તઆલાને આ વાત પસંદ ન હશે કે કુરઆન શરીફ આવી રીતે અમલના લાભ વગર બેકાર દુનિયામાં રહે, માટે ઉઠાવી લેવામાં આવશે.
કુરઆન શરીફની હિફાઝતની જવાબદારી અલ્લાહ તઆલાએ લીધી છે, માટે એમાં કોઈ ફેરફાર આજ સુધી થઈ શકયો નથી, અને થશે પણ નહી.
કુરઆન શરીફ અલ્લાહ તઆલાની કિતાબ અને 'કલામ' હોવાનો મતલબ આ છે કે એના શબ્દો પણ અલ્લાહ તઆલાના જ છે અને જે કંઈ એના દ્વારા કહેવામાં આવ્યું છે, એ અર્થ અને વાતો પણ અલ્લાહ તઆલાની છે. એવું નથી કે અલ્લાહ તઆલાની વાતો, આદેશો, માર્ગદર્શન, વગેરે અલ્લાહ તઆલા પાસેથી લઈને પછી હઝરત જિબ્રઈલ અલૈ. એ અથવા નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પોતાના શબ્દોમાં લોકો સમક્ષા રજૂ કરી હોય.
સઘળી આસમાની કિતાબોમાં કુરઆન સૌથી વધારે ફઝીલત ધરાવે છે.
પૂરું કુરઆન 'સૂરએ ફાતિહા'થી લઈને 'સૂરએ વન્નાસ' સુધી સંપુર્ણ પણે રક્ષિાત છે, રહેશે, અને એવો જ અકીદો રાખવો જરૂરી છે. એમાં ફેરફાર થવા કે કોઈ શબ્દ અથવા અક્ષારના ઓછા વધતા હોવાની વાત કુફ્ર છે.
કુરઆન શરીફ ઇસ્લામના સાચા હોવા અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની નબુવ્વતની સૌથી મોટી દલીલ પણ છે. તે એવી રીતે કે કુરઆનના સાચા હોવા અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની નુબુવ્વત બાબત જયારે લોકોએ કોઈ પુરાવો અને દલીલ માંગી તો અલ્લાહ તઆલા તરફથી કુરઆનને ચેલેન્જ સ્વરૂપે રજૂ કરીને કહેવામાં આવ્યું કે, જો આ કુરઆન અલ્લાહ તઆલાનું 'કલામ' ન હોય, અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની 'વાતો' હોય તો તમારામાંથી કોઈ માણસ આવું કલામ બનાવી લાવે. અને પછી કુરઆનમાં જ અલ્લાહ તઆલાએ એમ પણ ફરમાવી દીધું કે એક સુરત શું, એક આયત પણ કોઈનાથી એના જેવી બનાવી શકાશે નહી. માટે કુરઆનના 'કલામે ઇલાહી' અને 'બેનમૂન' હોવાનો અકીદો રાખવો પણ જરૂરી છે.
કુરઆન મજીદની વર્તમાન તરતીબ અને ક્રમ એ આસમાની છે, એટલે કે અલ્લાહ તઆલાએ નક્કી ફરમાવેલ છે. અલ્લાહ તઆલા પાસે લવ્હે મહફૂઝમાં કુરઆન સંપૂર્ણ પણે મહફૂઝ છે. એમાંથી જરૂરત મુજબની આયતો અને આદેશો જે તે સમયે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર ઉતારવામાં આવી. જયારે કોઈ સૂરત કે આયત ઉતરતી તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ હઝરત જિબ્રઇલ અલૈ.ના માર્ગદર્શન મુજબ સહાબાને એ સૂરત અને આયતનું સ્થાન અને ક્રમ બતાવી દેતા હતા. 
ખુલાસો એ કે કુરઆન શરીફ નાઝિલ થતી વેળા આ તરતીબ ન હતી, અલબત્ત એ પહેલાં લવ્હે મહફૂઝની અને વર્તમાનની તરતીબ પહેલેથી જ આ મુજબ હતી.
----------------------

Monday, April 21, 2014

અલ્લાહ, એટલે ...ઇસ્લામી માન્યતા અને અકીદો

અલ્લાહ તઆલા પોતાની ઝાત (વાસ્તવિક રીતે મોજૂદ હોવા) અને સિફાત (વિવિધ પ્રકારના ગુણો અને શકિતઓ) માં 'એક' (બેનમૂન) છે. એટલે કે આ બન્ને બાબતોમાં એના જેવું બીજુું કોઈ નથી. આ તવહીદનો અકીદહ છે. અલ્લાહ તઆલા જેવી ખૂબી અને શકિત કોઇ અન્ય વિશે સ્વીકારવાને શિર્ક કહે છે.
અલ્લાહ તઆલા શરીર, અંગ, અવયવ (હાથ, પગ, આંખ, આંગળી) વગેરે અથવા બીજો કોઈ પણ કાલ્પનિક કે અકાલ્પનિક આકાર ધરાવતા નથી.
આ જ પ્રમાણે શરીરને જરૂરી હોય એવી બાબતો જેમ કે ખાવા, પીવા, ચડવા, ઉતરવા, દોડવા, ચાલવા, જેવા કાર્યોથી પણ પવિત્ર છે. મતલબ કે અલ્લાહ તઆલા માણસો જેવા આ કાર્યો કરવાના મોહતાજ નથી અને આ બધું એની શાન - દરજ્જાના વિરુદ્ઘ છે.
કુરઆન અને હદીસમાં અલ્લાહ તઆલા માટે અમુક અવયવો અથવા લોકો જેવા અમુક કાર્યોનો ઉલ્લેખ છે. એનાથી અલ્લાહ તઆલાની વિવિધ સિફાત (ગુણો અને શકિતઓ) મુરાદ છે. માનવીની જેમ અલ્લાહ તઆલાના હાથ પગ હોવું મુરાદ હરગિઝ નથી.
અલ્લાહ તઆલાનું કલામ સાચું અને વાસ્તવિક છે. એમાં શંકાને પણ કોઈ સ્થાન નથી. અલ્લાહ તઆલાના કલામમાં જૂઠ કે અવાસ્તવિક હોવાની શંકા કે વહેમ કરવો પણ કુફ્ર છે.
અલ્લાહ તઆલાના ફેસલા અટલ હોય છે. હા અલ્લાહ તઆલા પોતે પોતાના ફેસલા બદલવા શકિતમાન છે, પણ બદલતા નથી.
દુનિયામાં જે કંઈ થાય છે એ બધું જ અલ્લાહ તઆલાના ઇલ્મ - જાણમાં છે. દરેક બાબત પહેલેથી જ અલ્લાહ તઆલાની જાણમાં છે અને અલ્લાહ તઆલા એ મુજબ જ દરેક વસ્તુ પેદા કરે છે.
અલ્લાહ તઆલા દરેક પ્રકારની ખૂબીઓ અને શકિતઓના માલિક છે. અલ્લાહ તઆલા સદાથી છે અને સદા માટે છે. એટલે કે એનો કોઈ આરંભ નથી, બલકે પહેલેથી જ છે અને એનો કોઈ અંત પણ નથી એટલે કે સદાને માટે રહેનાર છે. પહેલેથી જ મોજૂદ હોવાને ઉર્દૂમાં 'અઝલી' અને સદાએ રહેવાને ઉર્દૂમાં 'અબદી' કહેવામાં આવે છે.
અલ્લાહ તઆલા દરેક વસ્તુ અને દરેક બાબતે શકિતમાન છે. કુદરત ધરાવનાર (કાદિર) છે. તે આ દુનિયાને પેદા કરવા અને એનો નાશ કરવા ઉપર, બલકે અનેકવાર આમ કરવાની પણ કુદરત ધરાવે છે.
દરેક વસ્તુ અને બાબતની જાણકારી ધરાવે છે. નાની મોટી કોઈ પણ વસ્તુ એના ઇલ્મથી બહાર નથી.
તે સ્વતંત્ર ઇરાદો ધરાવે છે. જે ચાહે તે કરે અને જે ચાહે તે ન કરે. કોઈ બાબતે કરવા, ન કરવાને મજબૂર નથી.
કુરઆનમાં છે કે અલ્લાહ તઆલા દરેક વસ્તુ જુએ અને સાંભળે છે. આ બાબતે અલ્લાહ તઆલા પૂર્ણ શકિત અને ખૂબીના માલિક છે. નાની મોટી અને છૂપી - ખુલ્લી દરકે વસ્તુ એની નજરમાં છે અને મોટેથી કે ધીરેથી બોલવામાં આવતી દરેક વાત એ સાંભળે છે.
કુરઆન અલ્લાહ તઆલાનું કલામ છે. અને અલ્લાહ તઆલા ફરિશ્તાઓ - નબીઓ મારફત એની વાતો લોકો સુધી પહોંચાડે છે. અલબત્ત કલામ - વાણી માટે અલ્લાહ તઆલા શબ્દો, અવાજ, ઉચ્ચાર, જીભ વગેરેના મોહતાજ નથી. આ બધા વગર અલ્લાહ તઆલા કલામ કરે છે.
દરેક વસ્તુને અલ્લાહ તઆલા પેદા કરે છે. આ સઘળી સૃષ્ટિ પણ પહેલાં ન હતી, પછી અલ્લાહ તઆલાએ એને પેદા કરી.
તે જ જવાડનાર, મારનાર, રોઝી આપનાર અને રક્ષાા કરનાર છે.
તેના થકી જ સન્માન - ઇઝઝત છે અને તે ચાહે તેને અપમાનિત - ઝલીલ કરે છે. તોબા કબૂલ કરનાર અને માફ કરનાર છે. ચાહે તે ગુનેગારને સજા આપે છે, એને કોઈ પૂછનાર નથી.
એનું કોઈ કામ હિકમત અને આયોજન વગર નથી હોતું.
સૃષ્ટિ, બહ્માંડ અને બીજું જે કંઈ હોય, ન હોય, એ બધાની વ્યવસ્થાથી અલ્લાહ તઆલા થાકતા કે કંટાળતા નથી. ખાવા-પીવા, સૂવા, ઉંઘવા, થાકવા - હારવા જેવી કોઈ કમઝોરી અને ખામી અલ્લાહ તઆલામાં નથી.
અલ્લાહ તઆલાની કોઈ અવલાદ, પુત્ર, પુત્રી, બીવી કે દાસ - દાસીઓ અને સગાઈ નથી.
સ્થળ - જગ્યા, દિશા - દશા, લંબાઈ - પહોળાઈ, શરીર - શકલ, રંગ - રૂપ, વગેરે બાબતોથી અલ્લાહ તઆલા સંપૂર્ણ રીતે પવિત્ર છે. .....

Friday, April 11, 2014

દીન બાબતે સમાધાન

ભાષાના ટીચર ભણાવવા આવ્યા. ક્રિયાપદ અને કાળનો પાઠ હતો. કહેવા લાગ્યા કે, પ્રથમ આપણે ગઈકાલના પાઠનું પુનરાવર્તન કરી લઈએ.. ચાલો બતાવો :
'હું નાચું છું, તમે નાચો છો, તેણી નાચે છે, આપણે બધા નાચીએ છીએ'
'કાળ'નું આ કયું સ્વરૂપ છે ?
ગઈકાલનો એક ગેરહાજર વિદ્યાર્થી તુરંત બોલી ઉઠયો : સર, આ બેશરમી અને નિર્લજતાનો 'ભયકંર કાળ' છે. વાત ન પૂછો લોકોની બેશરમી અને પાપલીલાઓની...
બસ આવું જ કંઈ આજે છે.
અને આવું જ કંઈ મક્કામાં હતું, અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આવા ભયંકર કાળ સામે બાથ ભીડવાની હિંમત કરી હતી.
બદીઓ અને ગુનાહો છોડવા જે લોકો રાજી થયા, ગુનેગારો અને પાપાચારીઓ એમની પાછળ મંડી પડયા, એમની પાસે સત્તા, સંપત્તિ અને સમર્થન બધું જ હતું. 
આવું જ કંઈ આજે પણ છે.
સુધરેલા બિચારા અમુક તમુક માણસો જયારે નિરાશ થઈ ગયા તો અત્યાચારથી બચવા હબ્શહ - ઇથોપિયા હિજરત કરી ગયા. પછી બીજા લોકોને મદીના હિજરત કરવી પડી. છેલ્લે સ્થિતિ એટલી તંગ થઈ ગઈ કે આ ચળવળના મોભી એટલે કે દાવતે ઇસ્લામના દાઈ પયગંબરે ઇસ્લામ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પણ મક્કા છોડવાનો નિર્ણય કરી લીધો.
પણ એક તસુભાર...
રજમાત્ર, નજીવી, અમસ્થી વાતે પણ સંજોગો સાથે સાંઠગાંઠ ન કરી. બસ એક જ વાત, ઝમાનો બદલી નાંખવો છે, એની રીતભાત અને રસમ બદલી નાખવી છે. ગુનાઓ, અત્યાચારો, નગ્નતા, અશ્લીલતા, પાપાચાર, વ્યાભિચારને સમર્થન કરતા આ માહોલને કાં તો સુધારવો હતો, કાં એને છોડીને બીજે ચાલ્યા જવું જયાં પવિત્રતા, પાત્રતા, નેકી અને સદગુણોના સમાજની રચનાની સ્વતંત્રતા હોય. એ માટે યોગ્ય વાતાવરણ અને સમર્થન હોય.
મક્કાના લોકોએ તો ઓફર પણ કરી કે તમે નમાઝ પઢો, ઝિક્ર, તસ્બીહ પઢો, મુરાકબહ કરો, અને તમારી પાકી, પવિત્રતા, સચ્ચાઈ અને અમાનતદારીને તો અમે પહેલેથી જ માનીએ છીએ. બસ તમારાથી એક જ માંગણી છે, અમારા માબૂદોને, અમારી માન્યતાઓ અને પરંપરાઓની ટીકા ન કરો. એને અનિષ્ટ કે દુષ્ાણ કહીને બદનામ ન કરો. ઉંચા સાદે કુરઆન ન પઢો, લા ઇલાહ ઇલ્લલ્લાહનો પોકાર ન કરો. મતલબ કે તમારો ધર્મ તમારા સુધી સિમિત રાખો.. જો તમે આ પ્રમાણે સંધિ અને સુલેહ કરવા તૈયાર હોવ તો અમે તમારા માટે ધન - દોલતના ઢગલા કરી દઈએ, સુંદર અને ચરિત્રવાન યુવતીઓ સાથે તમારા નિકાહ કરાવી દઈએ. તમને જ અમારા સહુના બિનહરીફ વડા અને આગેવાન માનીશું.
આજના શબ્દોમાં કહીએ તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને કહેવામાં આવ્યું કે, હકારાત્મક વાતો કરો. લા ઇલાહ... એટલે કે બીજા માબૂદોનો ઇન્કાર અને ટીકા પર આધારિત નકારાત્મક વાતો ન કરો. આવી નકારાત્મક અને ટીકાત્મક વાતોથી અમને તકલીફ થાય છે, દિલ દુભાય છે. સમાધાન અને સંધિની વર્તમાનમાં પ્રચલિત  નીતિ પ્રમાણે અનુમાન કરીએ તો મક્કાના લોકોનું વલણ ઘણું હકારાત્મક, પ્રોત્સાહિત, સમાધાનકારી હતું, પણ સામે પક્ષો હઠ હતી, જડતા હતી, નકારાત્મક વલણ હતું.
પણ... નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પોતાની સઘળી શાંતિ, સલામતી, સહનશીલતા દાવે લગાડીને પણ આ આ વખતે નમતું જોખવા તૈયાર ન હતા. જાહેરમાં સારી દેખાતી આ એક એવી ઓફર હતી કે એના થકી આખા મક્કા ઉપર, મક્કાના વડીલો, આગેવાનો, યુવાનો, અને સારા - નરસા બધા જ લોકો આપની તાબેદારીમાં આવી જવાના હતા. 
પરંતુ આ બધું સ્વીકાર્ય ન હતું...
કારણ કે બદલામાં હકની દાવત છોડવાની વાત હતી. તવહીદ અને રિસાલત બાબતે સમાધાન કરવાનું હતું. તવહીદ છોડીને શિર્કને સહન કરવાની વાત હતી. રિસાલતની જવાબદારી એટલે કે દાવતે દીન છોડીને બુરાઈઓ ઉપર ખામોશ રહેવાની વાત હતી... 
અને આ બધું મંઝૂર ન હતું.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો જવાબ હતો : તમે આ ધરતીની સઘળી સંપત્તિ, સુવિધાઓ અને સવલતો ઉપરાંત આકાશેથી ચાંદ, તારા અને સુર્ય પણ મારી સેવા માટે લાવી મુકો, છતાં પણ શિર્ક અને કુફ્રની બુરાઈ, એનો ઇન્કાર અને ટીકા હું બંધ ન કરું... એ જ તો મારી ફરજ અને જવાબદારી છે. તવહીદ અને રિસાલતની દાવત હું કેવી રીતે બંધ કરું અને ચુપ થઈ જાઉં, એમાં જ તો મારી અને દરેકની ભલાઈ છુપાયેલી છે. 
આખરે વાતચીત સફળ થઈ નહીં, કોઈ સમાધાન થયું નહી...
અને છેવટે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મક્કા છોડવાનો નિર્ણય કરી લીધો.
લોકોએ ભેગા મળીને હત્યા કરવાનો પ્લાન બનાવ્યો તો અલ્લાહ તઆલાએ એમની વચ્ચેથી, આંખો સામેથી પોતાના હબીબ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મદીના પહોંચાડવાનો ફેસલો કરી લીધો. રાત્રે બધા ઘરને ઘેલો ઘાલીને બેસેલા હતા ને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ એક મુઠી માટી એમના ઉપર ફેંકીની નીકળી જાય છે. અબૂબક્રના ઘરે પહોંચે છે તો આ યારે ગાર પહેલેથી જ ઇન્તેઝારમાં હતા. ઘરેથી નીકળ્યા અને અવળી દિશામાં ગારે ષ્ાોર પહોંચીને ત્રણ દિવસ એમાં રોકાય ગયા. સિદ્દીકી ખાનદાન આ દરમિયાન ખાણા - પીણા અને સલામતીની બધી જવાબદારીઓ નિભાવતું હતું.
પછી મદીના રવાના થયા. કુબા પહોંચીને મસ્જિદની પાયાવિધી કરી અને મદીનામાં પ્રવેશ્યા...
અત્રે હઝરત અબૂ અય્યૂબ (ખાલિદ બિન ઝૈદ) રદિ.ના મકાનમાં પડાવ કર્યો.
રબીઉલ અવ્વલનો મહીનો અને હિજરતનું આ પ્રથમ વરસ હતું..
બરાબર ૧૦ વરસ પછી રબીઉલ અવ્વલના મહીનામાં જ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત થાય છે.
આ દરમિયાન ર૭ વાર નાની મોટી લડાઈઓમાં પોતે ભાગ લીધો. પ૬ લડાઈઓમાં વિવિધ સહાબાને અમીર બનાવીને મોકલ્યા...
આજકાલ ઘણા લોકો કહે છે કે નબી હોય તો જ, બાદશાહ કે અમીર હોય તો જ જિહાદ કરી શકાય...
ખુલાસો આ છે કે હક અને સત્ય એટલે કે કુફ્ર અને શિર્ક બાબતે સમાધાન એ મોમિનની શાન નથી. એમાં અડગ રહીને આગળ વધો તો પછી ફતેહ અને કામ્યાબી મોમિનની મંઝિલ છે. ......

Saturday, April 05, 2014

મુસલમાનોની ફિરકાબંદી

મુસલમાનોએ દુનિયાના વિવિધ પ્રદેશો ઉપર સદીઓ સુધી રાજ કર્યું, કોઈ એક પ્રદેશમાં તેઓ પાસેથી હકૂમત છીનવાય જતી તો બીજા પ્રદેશમાં તેઓ એક નવી શકિત તરીકે ઉભરીને હુકૂમત ભોગવતા હતા. અલબત્ત છેલ્લી બે સદીમાં બિ્રટીશ સામ્રાજ્યવાદના શાસન દરમિયાન લગભગ સમગ્ર વિશ્વમાંથી મુસલમાનો પાસેથી સત્તા છીનવાય ગઈ, ઉપરાંત આ સામ્રાજ્યવાદ એની વિશેષ વિચારધારા પણ એના તાબાના પ્રદેશમાં ફેલાવતો રહયો. પરિણામે વિશ્વભરમાં મુસલમાનો રાજકીય અને વૈચારિક બન્ને ક્ષેત્રે પરવશ બની ગયા.
આવા મુસલમાનો જયારે એમનો પાછલો ઇતિહાસ વાંચે ત્યારે વર્તમાન ગુલામી અને પરાધીનતા જોઈને એમનું અકળાઈ જવું સ્વભાવિક છે. અને કોઈ પણ ભવ્ય ઇતિહાસ અને ભૂતકાળ ધરાવતી કોમ એના ભવ્ય વારસાને પાછો મેળવવાની ઇચ્છા રાખે એ પણ સ્વભાવિક છે.
અલબત્ત પોતાના ખોવાયેલ વારસાને મેળવવાના પ્રયત્નો કરતી વેળા સામાજ્યવાદ દ્વારા છીનવી લેવામાં આવેલ શાસન અને સત્તાને જ પોતાની ખોવાયેલ મતા સમજવામાં આવે છે. બાહયશકિતઓ અને આક્રમણકારીઓ દ્વારા અનેક રીતે બરબાદ કરવામાં આવેલ વૈચારિક, શૈક્ષાણિક, સંસ્કારિક વારસાને પોતાની ખોવાયેલ પ્રથમ દરજાની 'દોલત' ગણવામાં નથી આવતી. બસ.. આ જ તે કેન્દ્રબિન્દુ છે, જેના લઈ મુસલમાનો પોતાનો ભુતકાળ પણ પાછો નથી મેળવી શકતા અને જાગૃતિની દરેક ચળવળ એમના માંહે એક નવો ફિરકો ઉભો કરી દે છે.
આ જ બાબતને સરળ શબ્દોમાં એવી રીતે કહી શકાય કે ભુતકાળ પાછો મેળવવા ચલાવવામાં આવતી વધુ પડતી ચળવળોના કેન્દ્રમાં લગભગ સત્તા પ્રાપ્તિ જ મુખ્ય ધ્યેય હોય છે, ઇસ્લામના નામે ઇસ્લામી હુકૂમતને જ લક્ષયમાં રાખીને આખી ચળવળ ચલાવવામાં આવે છે. આમ થવાથી મોટી ખોટ એ સર્જાય છે કે નક્કી કરવામાં આવેલ આ 'ધ્યેય' સામે બીજું બધું ગૌણ સમજવામાં આવે છે.
વિવિધ ચળવળો, એમની ગતિવિધિઓ, નીતિઓ, સિદ્ઘાંતોની ચર્ચા કરવી અત્રે અમારો આશય નથી, અલબત્ત ઇસ્લામના નામે નવા પેદા થતા ફિરકાઓ અને જમાતોના ઇતિહાસથી વાકેફ લોકો ઉપરોકત બાબત સારી રીતે સમજે છે. 
આ લખવામાં આવેલ ઉપરોકત બાબતને સાચી સમજવામાં માટે આવા ચળવળકારીઓ અને એમના આગેવાનોને એમણે દર્શાવેલ ધ્યેયમાં સાચા અને નિખાલસ સમજવા પણ જરૂરી છે.
બાકી બિટ્રીશ સામ્રાજ્યવાદ દ્વારા એના શાસનને ટકાવી રાખવા માટે જે પ્રપંચો આદરવામાં આવ્યા, અને મુસલમાનોને કમઝોર કરવાના આશયે અથવા ફરીથી તેઓ આગળ ન આવી શકે એ હેતુએ જે સાજિશો રચવામાં આવી, ગદ્દારો ઉભા કરવામાં આવ્યા, તકસાધુઓ તેમજ માલ અને સત્તાના લાલસુઓને પ્રોત્સાહન આપીને એમના થકી જે કામ લેવામાં આવ્યું છે એ બધાને સામે રાખીએ તો આ વાસ્તવિકતા પણ સામે આવે છે કે..
મુસલમાનોમાં જાગૃતિ અને અને પુનરોત્થાનના નામે ચાલેલી ઘણી ચળવળો પાછળ શત્રુઓનો હાથ હતો. પીઠબળ, સમર્થન અને રાજકીય - નાણાકીય સહાય આપવા ઉપરાંત ઉપરાંત જે તે સમયમાં પ્રચલિત મીડીયા દ્વારા આવી ચળવળો અને એના આગેવાનોને મુસ્લિમ સમાજના સુધારક, કાંતિકારી, વિદ્વાન વગેરે બતાવીને પ્રમોટ કરવામાં આવતા હતા. આજે પણ આ સિલસિલો જારી છે. અને વિશ્વ પ્રવાહોને સમજતા લોકો એનાથી અજાણ નથી.
વર્તમાન મુસ્લિમ સમાજમાં સુધારણાના કે જાગૃતિના નામે સામે આવેલા ઘણા ફિરકાઓની પૃષ્ટભૂમિ અને નિમિત્ત ઉપરોક્તત બે બાબતોમાંથી કોઈ એક અથવા બન્ને હોવું સમજદારો જાણે જ છે.
આવા ફિરકાઓનો મુળ આશય જે તે સમાજને સંપૂર્ણ રીતે સુધારવાનો હોતો જ નથી, એટલે જ તેઓ સમાજમાં રહીને એમની 'સુધારણા'ની ચળવળ ચલાવવાના બદલે, અને સમાજને નબવી રીત પ્રમાણે કરણી અને કથની દ્વારા પોતાની વાત સમજાવવાને બદલે સમાજની બુરાઈ કરીને, એને ભાંડી - ભાંગીને પોતાનો અલગ ફિરકો રચે છે, અને પછી દુહાઈ દે છે કે અમે ફિરકાબંદીથી સમાજને છોડાવવા માંગીએ છીએ. ફિરકાબંદીથી છોડાવવાના નામે નવા બનેલા ફિરકાઓ ગણવામાં આવે તો સમજ પડે કે કંઈક નવું કરવાના શોખમાં આવા લોકોએ ઇસ્લામને કેટલું નુકસાન પહોંચાડયું છે. ¦ આ એવું જ છે જેમ અમેરિકા કહે છે કે અમે વિશ્વમાંથી આતંકીઓ અને હત્યારાઓને ખતમ કરવા લડી રહયા છીએ, અને આમ કહીને તેઓ જ સહુથી વધુ હત્યા અને આતંક ફેલાવી રહયા છે. .......