Monday, June 23, 2014

તકદીર - નસીબ - ભાગ્ય, ઈસ્લામી માન્યતા અને અકીદો.

તકદીર - નસીબ

ઇસ્લામનો એક બુનિયાદી અકીદો અને ઈમાનનો મહત્વનો ભાગ 'તકદીર' ઉપર ઈમાન રાખવું છે.
તકદીર ઉપર ઇમાન ધરાવવાનો મતલબ શું છે ? 
અલ્લાહ તઆલાની કુદરત અને શકિત અપાર છે. આપણને દેખાતી આ દુનિયા અને નથી દેખાતી એવી અનેક દુનિયાઓ, ઉપરાંત ભૂતકાળ અને ભવિષ્યની અનેક વસ્તુઓ અલ્લાહ તઆલાએ એની શકિતથી પેદા કરી છે અને નષ્ટ કરી છે. પેદા કરશે અને નષ્ટ કરશે. આવી અપાર શકિતઓના માલિક અલ્લાહ તઆલાનું ઇલ્મ અને જ્ઞાન પણ અપાર છે. એટલે કે પહેલેથી જ આગળ પાછળનું બધું જ, સંપૂર્ણ, રજે રજ અલ્લાહ તઆલાની જાણકારી અને ઇલ્મમાં છે. ઝાડના પાંદડાના હલવું અને જમીનનો ધરતીકંપ, દુનિયાની ઉત્પત્તિ અને વિનાશ - કયામત... એ પહેલાં અને પછીની દરેક વસ્તુ અલ્લાહ તઆલાને ખબર છે.
સમય મુજબ અલ્લાહ તઆલાની જાણકારી પ્રમાણે જ અલ્લાહ તઆલા એની કુદરત અને શકિતથી દરેક વસ્તુનું સર્જન કરે છે, નષ્ટ કરે છે, સંજોગો સજર્ે છે અને પરિણામ આપે છે, પરિવર્તન કરે છે નવીનતા પેદા કરે છે. આમ બધું જ અલ્લાહ તઆલાના જ્ઞાન મુજબ એની જ શકિત અને કુદરતથી થવાને 'તકદીરે ઇલાહી' કહેવાય છે. કોઈનું નેકી કરવું અને કોઈનું બદી આચરવું પણ આ જ અકીદાને આધીન છે. દરેક મુસલમાને આ અકીદો રાખવો જરૂરી છે કે જે કંઈ થાય છે, ચાહે તે બંદાની દષ્િટએ સારી વાત હોય કે બુરી, લાભદાયી હોય કે નુકસાનકારક, નેકી હોય કે ગુનો.. બધું જ અલ્લાહ તઆલાના કરવાથી થાય છે.

આ અકીદાનો જાહેરી મતલબ આ છે કે, 
જો બંદાની નેકી અને ગુનાહ પણ અલ્લાહની તકદીર મુજબ જ થાય છે, અને માણસને એની મહેનતનાં ફળ પણ એની તકદીર મુજબ જ મળે છે, તો પછી કોઈ પણ કામ કે નેકી - બદી બાબતે બંદાને ગુનેગાર ઠેરવવો અને કામ્યાબ ઠેરવવો ખોટું છે. ગુના ઉપર અઝાબ અને નેકીનો સવાબ પણ બંદાને શા માટે મળે ? કારણ કે બધું જ તકદીર મુજબ છે. પરંતુ... તકદીરના અકીદાનો મતલબ આવો હરગિઝ નથી...

અલ્લાહ તઆલાનું ઇલ્મ અને તકદીર અલ્લાહ તઆલા સાથે છે. બંદાને એ વિશે કોઈ ખબર નથી. અને અલ્લાહ તઆલાએ માણસનું સર્જન કરીને એને પોતાના જ્ઞાન અને તકદીર મુજબ સારા - નરસાની સમજ અને કામ કરવા કે ન કરવાની સમજ, ઇરાદો અને શકિત પણ આપી છે. અને એ મુજબ કામ કરવાને માણસ ઉપર ફરજ ઠેરવ્યું છે. માણસ એ સમજ અને શકિત મુજબ દરેક કામ એને આપવામાં આવેલ ઇરાદા- અધિકાર, અને આવડત મુજબ કરે છે. અલ્લાહ તઆલાની તકદીરથી નાવાકેફ બંદો આ બધું પોતાની રીતે જ કરે છે અને પોતાના થકી જ થાય છે એમ સમજે છે. જયારે કે વાસ્તવિકતામાં આ બધું અલ્લાહ તઆલાના ઇલ્મ અને તકદીર મુજબ થતું હોય છે અને એ મુજબ જ પરિણામ આવતું હોય છે. માણસ આ આધારે જ પોતાના ઇરાદા અને શકિત મુજબ શરીઅત ઉપર અમલ કરવાને તાબેદાર છે અને નેકી - બદી કરીને સવાબ કે અઝાબનો હકદાર બને છે.
અલબત્ત એક મહત્વની વાત આ છે કે,
અલ્લાહ તઆલાના ઇલ્મ અને તકદીરથી નાવાકેફ બંદો એની સમજ મુબજ પોતાની રીતે જ બધું કરે છે અને એના આધારે જ પરિણામ ભોગવે છે તો પછી તકદીર ઉપર ઈમાન લાવવું શા માટે જરૂરી ઠેરવવામાં આવ્યું ? એ સમજવું જરૂરી છે.
મવ. તકી ઉસ્માની સાહેબ દા.બ. ફરમાવે છે કે આ માટે બે વસ્તુઓ સમજવી જરૂરી છે. એક આ કે, કોઈ કાર્ય કરવા પહેલાં જ તકદીરના અકીદાનું બહાનું બનાવીને અથવા એમ વિચારીને કે તકદીર મુજબ જે થવાનું હશે તે થશે, માણસ કામ કરવાથી અટકી ન જાય. બલકે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે બંદાએ એના પ્રયત્નો કરવાના જ છે. તકદીરમાં શું છે એની એને ખબર નથી. અને પરિણામથી આવી અજાણતા માણસને કામ કરવાથી અટકાવવા માટે કાફી નથી.
બીજી વાત આ કે, તકદીરના અકીદા મુજબ માણસના અમલ અને વર્તનની શરૂઆત કોઈ કામ થયા પછી કે ઘટના બની ગયા પછી શરૂ થાય છે. કોઈ ઘટના થઈ ગયા પછી મુસલમાન બંદો વિચારે કે મારે જે અસબાબ અપનાવવાના હતા, જે પ્રયત્નો કરવાના હતા, તે બધું કરી લીધું. હવે પરિણામ મારા પ્રયાસો અને તદબીરથી વિપરિત આવ્યું છે તો ભલે, એ અલ્લાહનો ફેસલો અને તકદીર છે, અમે એના ઉપર રાજી છીએ. 
તકદીરનો ફેસલો આપણી સામે નથી આવી જતો, ત્યાં સુધી મહેનત કરવી અને તદબીર કરવી, અસબાબ અપનાવવા, સાવચેતી રાખવી, રક્ષાણ કરવું આપણી ફરજ છે. કારણ કે શકિત મુજબ પ્રયાસો કરવા આપણી ફરજ છે અને આપણને ખબર નથી કે તકદીરમાં શું થવાનું છે. આમ વિચારવાથી ફાયદો આ થશે કે નાકામી અને અસફળતા ઉપર માણસની માયૂસી અને તકલીફ ઓછી થાય છે. તેમજ માણસને આગળનું વિચારવાની અને બીજું કામ કરવાની હિમ્મત મળે છે. (તકદીર પર રાજી રહેના ચાહિયે)
અને જો માણસ એની મહેનતમાં સફળ થાય તો તકદીર ઉપરનું ઈમાન એને માર્ગદર્શન આપે છે કે આ સફળતામાં મારો કોઈ ફાળો નથી. એમાં મારી કોઈ ખૂબી નથી. એ તો અલ્લાહ તઆલાએ લખેલું જ હતું અને આમ થવાનું જ હતું, મેં જે મહેનત કરી એ અલ્લાહ તઆલાએ કબૂલ કરી એ એની મહેરબાની છે. આમ વિચારવાથી ફાયદો આ થશે કે માણસમાં અભિમાન, ઘમંડ, તકબ્બુર અને મોટાઈ નહી આવે. સફળતાથી અભિમાની બની જનારા માણસો વાસ્તવમાં તકદીરથી બેખબર હોય છે. તકદીર ઉપર એમનું ઈમાન કાચું હોય છે.

-------------

No comments:

Post a Comment