Monday, August 12, 2013

એક ગેરમુસ્લિમ યુવાનના અમુક પ્રશ્નો અને ખુલાસાઓ

એક ગેરમુસ્લિમ યુવાનના અમુક પ્રશ્નો અને ખુલાસાઓ

રાંચીથી મુંબઈ જવા ફલાઇટમાં સવાર થયો તો જોયું કે બાજુની સીટ ઉપર નિર્દોષ ચહેરાવાળો એક યુવાન મોજૂદ છે. સામાન મૂકીને, સીટ ઉપર બેસીને, સીટ બેલ્ટ બાંધીને, મેં એનાથી વાતચીત શરૂ કરી. વિકાસ નામ હતું અને પટનાથી મુંબઈ જતો હતો. મને મારી મંઝિલ અને નામ પૂછીને થોડી વારે એણે પૂછયું કે,

??? તમે શું કરો છો ?
>>>   મેં કહયું કે, અમે મદરસા એટલે કે ઇસ્લામી સ્કૂલમાં શિક્ષક છીએ.
???  શું તમે પવિત્ર ગ્રંથનું શિક્ષણ આપો છો ?
>>>  હા, એ અમારા કોર્સમાં હોય છે. એના ઉપરાંત ઇસ્લામી વિષયોને લગતી અનેક કિતાબોનું શિક્ષાણ આપવાનું હોય છે.
???  મેં કુરઆનનો થોડો અભ્યાસ કર્યો છે. મારા એક દોસ્તે મને કહયું હતું. અલબત્ત ઘણો થોડો અભ્યાસ કર્યો છે. પરસ્પરની વાતચીત જેવો જ એનો અંદાઝ છે. વાત સમજમાં આવી જાય એવો. મારે એ જાણવું છે કે કુરઆનમાં મુખ્ય પણે શું કહેવામાં આવ્યું છે ?
>>> મુસલમાન માટે એના જીવનના દરેક પાસાની એમાં તાલીમ છે. પર્સનલ લાઈફ,  ફેમીલી લાઇફ,  ગર્વમેન્ટ,  ક્રાઇમ,  કલ્ચર વગેરેના મહત્વના ઇસ્લામી નિયમો એમાં દર્શાવવામાં આવ્યા છે. એટલે કોઈ એક વિષયમાં એમની તાલીમ સમાવી ન શકાય.
આમ છતાં તવહીદ એટલે કે દુનિયાના સર્જનહાર અને માલિક - ખાલિક એક હોવાની વાત એમાં વિશેષ રૂપે કહેવામાં આવી છે. અને કુરઆનનો ઘણો ખરો ભાગ આ બાબતની તાલીમ ઉપર આધારિત છે.
                                                થોડી વારની ખામોશી પછી એણે મને પૂછયું કે,
???  એક મુસલમાન સાત શાદીઓ કરી શકે છે ?
>>> ના, સાત નહી, ચાર શાદીઓ કરવાની પરવાનગી છે.
 ??? શું ફકત મોઢેથી તલાક બોલવાથી તલાક થઈ જાય છે ?
>>> હા..
??? આ તે કેવું ? એના માટે કોઈ ફોર્માલીટી કેમ નથી ?
>>> એમાં કોઈ ફોર્માલીટીની જરૂરત શું છે ?  જેમ નિકાહનો કરાર ફકત મોઢેથી બોલવાથી થઈ જાય છે તો એવી જ રીતે ખતમ પણ જાય છે. અને એમાં મુસલમાનના નિકાહની વાત નથી. દુનિયાના બધા જ કરારો મોઢે બોલીને થાય છે અને મોઢેથી બોલીને ખતમ થાય છે. કાગળ પરની ફોર્માલીટી તો પૂરાવા અને પ્રુફ માટે હોય છે.
???  હા, તમારી આ વાત સાચી છે. દુનિયામાં પણ બધું મોઢેથી જ થાય છે.
???  સ્ત્રીઓ મસ્જિદમાં ન જઈ શકે ?
>>> જઈ શકે છે. પણ બેહતર નથી. વર્તમાન સ્થિતિમાં એનું ઘરમાં જ રહેવું બેહતર છે. પવિત્ર જગ્યાએ એની મર્યાદા ન સચવાય અને માણસથી કોઈ ભૂલ - ગુનો થઈ જાય તો ગુનો પણ લાગુ પડે અને પવિત્ર સ્થળની ગરિમા પણ ખતમ થઈ જાય, અને પછી ઇબાદત - પ્રાથનાનો હેતુ પણ ખતમ થઈ જાય એટલે અમે આ બાબતે સ્ત્રીના ઘરમાં નમાઝ પઢવાને બેહતર સમજીએ છીએ.
???  શું સ્ત્રી તલાક ન આપી શકે ?
>>> અમુક વિશેષ સ્થિતિમાં સ્ત્રીને એના પતિથી અલગ થવાનો અધિકાર છે. આ બાબત શરતોની આધીન છે અને વિશેષ સ્થિતિમાં જ શકય છે.
??? આવું કેમ ?
>>> અમારું માનવું છે કે સ્ત્રી અને પુરુષમાં શરીર, વિચાર, લાગણી અને બીજી  ઘણી બાબતોમાં તફાવત છે. પુરુષ એમાં પરિપકવ છે. અને નિકાહ એ સામુહિક જીવન છે. સામુહિક રીતે કરવામાં આવતા કોઈ પણ કામમાં કોઈ એકને વધુ અધિકાર આપીને બોસ બનાવવામાં આવે છે. દુનિયામાં પણ આમ જ હોય છે. અમુક માણસો થકી કરવામાં આવતા કોઈ પણ કામમાં એક વ્યકિતને બોસ બનાવીને જ કામ કરાય છે અને એને વધારે અધિકાર આપવામાં આવે છે. બધાને સમાન રાખવામાં ટકરાવ થવાની સંભાવના છે. આ જ કારણે ફેમીલી લાઈફમાં પુરુષને બોસ ગણવામાં આવ્યો છે. બીજી બાબતોમાં ધાર્મિક અને સામાજિક રીતે સ્ત્રીને એના અધિકારો પૂરા આપવામાં આવ્યા છે. એ કોઈ પુરુષની ગુલામ નથી.
??? શું તમારે દાઢી રાખવી જરૂરી છે ?
>>> હા, દાઢી રાખવી દરેક મુસલમાન માટે આવશ્યક છે. આ અમારી ધાર્મિક ઓળખ છે.
??? પણ બધા મુસલમાનો આમ નથી કરતા ?
>>>ઘણા મુસલમાનો એના ઉપર અમલ નથી કરતા. બાકી આ ઓળખ દરેક માટે જરૂરી છે. ઇસ્લામમાં દરેક બાબત અને આદેશ દરેક મુસલમાન માટે સરખાં છે. સામાન્ય મુસલમાન હોય કે ધાર્મિક નેતા હોય, ઇસ્લામી આદેશોમાં બધા જ સરખા છે. કોઈના માટે વિશેષ આદેશ નથી.
??? આ સૂફીવાદ શું છે ?
>>> મુળમાં તો સુફીવાદ એટલે સંસારની મોહજાળને બાજુ ઉપર મૂકીને ઇબાદત - પ્રાથનામાં વધારે ધ્યાન આપવું. ઇસ્લામમાં મુળ રીતે સંસાર ત્યાગનું કોઈ મહત્વ નથી. અલબત્ત આમ છતાં કોઈ માણસ સંસાર તજીને ફકત અલ્લાહની ઇબાદતમાં લાગી જાય તો એની મનાઈ પણ નથી. આવા લોકોને પહેલાં 'સૂફી' કહેવામાં આવતા હતા. આજકાલ 'સૂફીવાદ' નો મતલબ એ ઠસાવવામાં આવે છે કે બધા ધર્મો સરખા છે અને એમાં કોઈ તફાવત નથી,  એ ખોટું છે. મુસલમાન મંદિરમાં જાય અને હિંદુ મસ્જિદમાં આવે,  એ સરખું છે,  એવું આજના સૂફીવાદમાં કહેવામાં આવે છે. જે વાસ્તવિક રીતે ખોટું છે. ઇસ્લામની તાલીમ પ્રમાણે હિંદુ અને મુસલમાન અલગ છે. અલબત્ત માનવી હોવામાં અને માનવીય સન્માન અને અધિકારોમાં ઇસ્લામની દષ્ટિએ બધા જ સરખા છે. જયારે દરેક ધર્મમાં આટલી લચક અને ફલેકસીબિલીટી છે તો પછી બધા ધર્મોને ભેગા કરીને ધાર્મિક સિદ્ઘાંતોનો કચ્ચરઘાણ વાળવાની શી જરૂરત છે ?
>>> વાત તો તમારી બરાબર છે. દરેક ધર્મ અલગ છે, એ અલગ રહીને પણ એકબીજા સાથે રહી શકતા હોય તો પછી આવું કરવાની કોઈ જરૂરત નથી.
??? કોઈ ગેર મુસ્લિમ સાથે શાદી કરી શકાય ?
>>> મુસલમાન પુરુષ ગેર મુસ્લિમોમાંથી ફકત યહૂદી અને ઇસાઈ સ્ત્રી સાથે જ નિકાહ કરી શકે છે. એ સિવાય કોઈ બીજા ધર્મની સ્ત્રી સાથે નહી.
અને મુસલમાન સ્ત્રી બીજા કોઈ પણ ધર્મના પુરુષ સાથે નિકાહ કરી શકતી નથી.
??? આવું કેમ ?

>>> આ એટલા માટે કે મુસલમાનોની માન્યતા મુજબ યહૂદીઓના પયગંબર મૂસા અલૈ. અને ઇસાઈયોના પયગંબર ઇસા અલૈ. મુસલમાનો માટે પણ પયગંબર અને પવિત્ર હસ્તીઓ છે. આવી સ્થિતિમાં કોઈ સ્ત્રી મુસલમાન સાથે નિકાહ કરશે તો મુસલમાનના ઘરમાં એના ધાર્મિક અધિકારોનું પણ સન્માન કરવામાં આવશે અને એના ઉપર એના ધર્મ બાબતે કોઈ રોકટોક કે દબાણ નહી થાય. એનાથી ઉલટું યહૂદી અને ઈસાઇ લોકો મુસલમાનોના પયગંબર મુહમ્મદ સાહેબને માનતા નથી. તેઓ એમનો વિરોધ કરે છે. આવી સ્થિતિમાં મુસલમાન સ્ત્રી યહૂદી કે ઈસાઈ પુરુષ સાથે નિકાહ કરશે તો પતિના ઘરમાં એના ધાર્મિક અધિકારો સચવાય એ શકય નથી. ઇસ્લામને ન માનવાને કારણે પત્નિના ઇસ્લામી કાર્યો એના યહૂદી કે ઈસાઈ પતિને સ્વીકાર્ય નહીં હોય.                            ........

                                  ફરીદ અહમદ કાવી.